સમગ્ર વિશ્વના અલગ-અલગ હિસ્સાઓમાં ગુરુવારે ધરતી ધ્રુજવાની શ્રેણીબદ્ધ ઘટનાઓ સામે આવી છે.
દક્ષિણ અમેરિકાના વેનેઝુએલામાં આવેલા 7.1 અને 7.5 ની તીવ્રતાના મહાવિનાશક ભૂકંપ બાદ હવે
જાપાન, ભારત અને નેપાળમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. પ્રચંડ કુદરતી આફતોના કારણે
વિશ્વભરમાં ચિંતાનો માહોલ છે, જોકે સદનસીબે વેનેઝુએલા સિવાય અન્ય સ્થળોએ કોઈ મોટા
જાનમાલના નુકસાનના અહેવાલ નથી.
જાપાનના ઉત્તરી દરિયાકાંઠાના વિસ્તારમાં ગુરુવારે સવારે ઓફિસ સમય (મોનિંગ રશ અવર્સ) દરમિયાન
6.9 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ ત્રાટક્યો હતો. જાપાન મેટોરોલોજિકલ એજન્સી અને યુએસ
જીઓલોજિકલ સર્વે (USGS) ના જણાવ્યા મુજબ, આ ભૂકંપ ઇવાટે (Iwate) ના પૂર્વી તટ નજીક
જમીનથી આશરે 50 કિલોમીટરની ઊંડાઈએ આવ્યો હતો. આ આંચકા એટલા તીવ્ર હતા કે રાજધાની
ટોક્યો પણ સામાન્ય ધ્રુજી ઉઠ્યું હતું.સરકારી પ્રવક્તા મિનોરુ કિહારાએ જણાવ્યું હતું કે હાલમાં કોઈ
જાનહાનિ કે મોટા નુકસાનની વિગતો નથી, જ્યારે વડાપ્રધાન સનાએ તાકાઇચિએ આપત્તિ પ્રબંધન
ટીમને એલર્ટ કરીને નાગરિકોને આફ્ટરશોક્સ સામે સાવધ રહેવા અપીલ કરી છે. ભૂકંપના કારણે
સાવચેતીના ભાગરૂપે બુલેટ ટ્રેન અને સ્થાનિક રેલ સેવાઓ રોકી દેવાઈ હતી, તેમજ આઓમોરી પ્રાંતના
હાશિકામીમાં શાળાના બાળકો ભયભીત થતાં એક દિવસ માટે વર્ગો સ્થગિત કરી દેવાયા હતા. સદનસીબે
એજન્સીએ સ્પષ્ટ કર્યું છે કે આ ભૂકંપથી સુનામીનો કોઈ ખતરો નથી.
વેનેઝુએલા અને જાપાનની સાથે-સાથે ભારતના જમ્મુ-કાશ્મીરમાં પણ ધરતી હચમચી ગઈ હતી.
કાશ્મીરના પુલવામા (Pulwama) વિસ્તારમાં ગુરુવારે વહેલી સવારે 2 વાગ્યાને 36 મિનિટે 3.5 ની
તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજીના ડેટા અનુસાર, આ ભૂકંપ
જમીનથી 15 કિલોમીટરની ઊંડાઈએ નોંધાયો હતો. સ્થાનિક સ્તરે લોકોમાં સામાન્ય ફફડાટ ફેલાયો હતો,
પરંતુ પ્રશાસન તરફથી કોઈ પણ પ્રકારની જાનમાલની નુકસાનીના અહેવાલ મળ્યા નથી.
ભારતના પાડોશી પર્વતીય દેશ નેપાળમાં પણ ગુરુવારે વહેલી સવારે ભારતીય સમયાનુસાર (IST) 5
વાગ્યાને 21 મિનિટે 3.8 ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. આ અગાઉ રવિવારે પણ નેપાળના દુર્ગમ
પહાડી વિસ્તાર એવા હુમલા (Humla) જિલ્લાના શ્રીનગર ક્ષેત્રમાં 4.1 ની તીવ્રતાનો હળવો આંચકો
અનુભવાયો હતો. નેપાળમાં પણ આ તાજેતરના આંચકાઓથી કોઈ જાનહાનિ થઈ નથી.
આ વૈશ્વિક ભૂકંપના સિલસિલામાં સૌથી ભયાનક અસર દક્ષિણ અમેરિકાના વેનેઝુએલામાં જોવા મળી છે,
જેને છેલ્લા 100 વર્ષના સૌથી વિનાશક ભૂકંપોમાંથી એક ગણવામાં આવી રહ્યો છે. બુધવારે સાંજે ત્યાં
આવેલા 7.2 અને 7.5 ના બે બેક-ટુ-બેક આંચકાના કારણે રાજધાની કૅરાકસમાં એક 22 માળની વિશાળ
ઇમારત પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગઈ છે અને એરપોર્ટના માળખાને પણ ભારે નુકસાન
પહોંચ્યું છે.






