ભાવનગર જીલ્લાના વલ્લભીપુર તાલુકાના એક ગામે રહેતા ૫૦ વર્ષિય આધેડે અંદાજે ૩ વર્ષ પુર્વે એક સગીરા ઉપર બળાત્કાર ગુજારી ગર્ભ રાખી દેતા સગીરાને બાળકનો જન્મ થયો હતો. આ અંગેની જે તે સમયે વલ્લભીપુર પોલીસ મથકમાં આરોપી સામે ગુનો નોંધાયો હતો. આ અંગેનો કેસ ભાવનગરના સ્પે. પોકસો જજની અદાલતમાં ચાલી જતા અદાલતે આરોપી સામેનો ગુનો સાબીત માની જુદી જુદી કલમો હેઠળ ૨૦ વર્ષની સખ્ત કેદની સજા અને રોકડ દંડ અદાલતે ફટકાર્યો હતો. અને ભોગબનનારને વળતર પેટે રૂા. ૬ લાખ ચુકવી આપવા અદાલતે હુકમ કર્યો હતો.
આ બનાવની જાણવા મળેલ વિગતો મુજબ ગત તા. ૧૦/૦૯/૨૦૨૩ થી છ એક મહીના પહેલા આ કામના ફરીયાદીની સગીરવયની દિકરી ઉ.વ.૧૪ વર્ષ ૦૯ માસ વાળી પોતાની બહેનપણી સાથે રમતી હતી તે દરમ્યાન આ કામનો આરોપી દેવાયતભાઈ ભોળાભાઈ ખટાણા ઉ.વ.૫૦ રહે. કાળાતળાવ રોડ બાજુ દરેડ ગામ તા.વલ્લભીપુર જી.ભાવનગર વાળા ત્યાં આવેલ અને ભોગ બનનારને કહેલ કે મારૂં તગારુ મને ચડાવવા આવ જેથી ભોગબનનાર આરોપીને તગારૂ ચડાવવા માટે તેમના વાડાના ઢાળીયામાં જતા આરોપીએ ભોગબનનારનો હાથ પકડી ઢાળીયાના ખુણામાં લઈ જઈ કહેલ કે તું દેકારો નહીં કરતી નહીંતર તારા ભાઈને મારી નાખીશ જેથી ભોગનનારે કોઈ દેકારો કરેલો નહી અને આરોપીએ ભોગબનનારની સાથે બળજબરીથી બળાત્કાર કરેલ અને ભોગબનનાર રડવા લાગેલ તો આરોપીએ ધમકી આપેલ કે તું આ વાત કોઈને કહીશ તો તને અને તારા ભાઈને મારી નાખીશ જેથી ભોગબનનારે આ વાત ઘરે કોઈને કરેલ નહી ત્યારબાદ બે-એક મહિના પછી ફરીવાર આ કામના આરોપીએ ભોગબનનારને બીજી વખત પકડી તેના ઢાળીયામાં લઈ જઈ બળજબરી કરી બળાત્કાર કરેલ અને ત્યારે પણ ભોગબનનારને ધમકી આપેર કે આ વાત કોઈને કહીશ તો તને અને તારા ભાઈને મારી નાખીશ તેવી ધમકી આપી ભોગનનાર સાથે બળજબરીથી બળાત્કાર કરેલ જેથી ભોગબનનારને ગર્ભ રહી જતા બાળક બાબા ને જન્મ આપેલ હોય આ કામનો આરોપી ભોગ બનનાર સગીરવયની હોવાનું જાણતો હોવા છતાં તેણીની સાથે બળજબરીથી શરીર સંબંધ બાંધી બળાત્કાર કરી જાતિય સતામણી કરી ભોગબનનારને ગર્ભ રાખી દઈ ગુન્હો કર્યો હતો.
આ બનાવ અંગે જે તે સમયે વલ્લભીપુર પોલીસ મથકમાં ભોગ બનનારની માતાએ આરોપી દેવાયતભાઈ ભોળાભાઈ ખટાણા સામે પોલીસ ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે આઈ.પી.સી. કલમ ૩૭૬(૨)(જે)(એન), ૩૭૬(૩), ૫૦૬(૨), તથા જાતિ સતામણી અધિનીયમ-૨૦૨૧ ની કલમ ૪, ૬, ૮, ૧૦, મુજબનો ગુનો નોંધી આરોપીને ઝડપી લીધો હતો.આ અંગેનો કેસ ભાવનગરના ૪થા એડીશ્નલ સેસન્સ જજ અને સ્પે. પોકસો કોર્ટ ના જજ હેતલબેન સુરેશચંદ્ર દવેની અદાલતમાં ચાલી જતા અદાલતે સરકારી વકિલ ગીતાબા પી. જાડેજા તથા મુળ ફરીયાદી તરફે વકીલ નિતીન જી. નાગરની લેખીત દલીલો,દસ્તાવેજી પુરાવા અને સાક્ષીઓની જુબાનીને ધ્યાનમાં લઈ આરોપીને કસુરવાર ઠેરવી આરોપી દેવાયતભાઈ ભોળાભાઈ ખટાણાને જુદી જુદી કલમો હેઠળ ૨૦ વર્ષની સખ્ત કેદની સજા અને રોકડ દંડ અદાલતે ફટકાર્યો હતો અને ભોગબનનારને રૂા. ૬ લાખ વળતર પેટે આપવાનો હુકમ કરવામાં આવેલ છે.




