રાજકોટના જસદણની આલ્ફા ઇન્સ્ટિટ્યૂટમાં અભ્યાસ કરતી ૯ વર્ષીય વિદ્યાર્થીની આયુષી રમેશભાઈ બાલદાણીયાના શંકાસ્પદ મૃત્યુના મામલે હવે આહીર સમાજ ન્યાયની માંગ સાથે મેદાને આવ્યો છે. માસૂમ દીકરીના ગૂઢ મોતના પગલે સમગ્ર આહીર સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, જેના વિરોધ પ્રદર્શનના ભાગરૂપે મહુવા ખાતે સમાજના અગ્રણીઓ અને યુવાનો દ્વારા એક વિશાળ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગત ૨૬ તારીખે આલ્ફા ઇન્સ્ટિટ્યૂટમાં અભ્યાસ કરતી આયુષી બાલદાણીયાનું સામાન્ય બીમારીના કારણે અવસાન થયું હતું. જોકે, મૃતક બાળકીના પરિવારજનોએ સંસ્થાના સંચાલકો સામે ગંભીર આક્ષેપો કર્યા છે. પરિવારના દાવા અનુસાર, સંસ્થાના સંચાલકોની ઘોર બેદરકારીના કારણે જ દીકરીનું મૃત્યુ થયું છે. બાળકીની તબિયત સતત લથડી રહી હોવા છતાં સંચાલકો દ્વારા વાલીને સમયસર જાણ કરવાની તસ્દી લેવાઈ નહોતી, જેના કારણે નિર્દોષ બાળકીએ જીવ ગુમાવવો પડ્યો છે.
આ ઘટનાના આક્રોશમાં મંગળવારે મહુવા મુકામે આહીર સમાજના અગ્રણીઓ અને યુવાનો મોટી સંખ્યામાં એકઠા થયા હતા. મહુવાના રાધા કૃષ્ણ મંદિરથી વડલી તાલુકા સેવા સદન સુધી એક વિશાળ બાઇક રેલી કાઢવામાં આવી હતી. ‘આયુષીને ન્યાય આપો’ ના ગગનભેદી નારાઓ સાથે રેલી સેવા સદન પહોંચી હતી, જ્યાં દોષિતો સામે કડક કાર્યવાહીની માંગ સાથે મામલતદારને આવેદનપત્ર સુપરત કરાયું હતું.




