બોટાદ શહેરના ખસ રોડ પર ગત ૯ જુલાઈની રાત્રે એક ઇન્સ્ટાગ્રામ ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલવા બાબતે થયેલો વિવાદ હત્યામાં પરિણમ્યો હતો. એક યુવતીના મોબાઈલમાં ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલવાના મુદ્દે અગાઉ થયેલી બોલાચાલી બાદ બંને પક્ષો સમાધાન માટે ખસ રોડ પર ભેગા થયા હતા. આ દરમિયાન વાતચીત ઉગ્ર બનતા મામલો મારામારી સુધી પહોંચ્યો હતો અને તીક્ષ્ણ હથિયારો વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો.
આ હિંસક હુમલામાં ગંભીર ઈજાઓ પહોંચતા હરપાલભાઈ રવુભાઈ ખાચરનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે હુમલામાં ઘાયલ અન્ય બે યુવાનો પૈકી અક્ષયભાઈ રાજુભાઈ ખાચરને વધુ સારવાર અર્થે ભાવનગર અને સતુભાઈ વલકુભાઈ બોરીચાને બોટાદની સબીહા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ બોટાદ એસ.પી. ધર્મેન્દ્ર શર્મા સહિત ડી.વાય.એસ.પી., એલ.સી.બી., એસ.ઓ.જી. અને ટાઉન પોલીસનો કાફલો દોડી ગયો હતો. પોલીસની અલગ અલગ ટીમોએ તપાસ હાથ ધરી ફરિયાદના આધારે કુલ ૫ લોકો સામે ગુનો નોંધ્યો હતો. જેમાંથી પોલીસે ૪ આરોપીઓને ઝડપી પાડ્યા છે. પકડાયેલા આરોપીઓમાં ૩ સગીર વયના (જેમને ભાવનગર ખસેડાયા છે) અને ૧ પુખ્ત વયના આરોપી મયુર કિરીટસિંહ ડાયમાનો સમાવેશ થાય છે.આ કેસમાં હજુ એક આરોપી જસપાલ મહોબતસંગ ચાવડા પોલીસ પકડથી દૂર છે, જેને પકડી પાડવા પોલીસે સઘન તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.





