સવારે 6થી 8 વાગ્યા સુધીમાં જ રાજ્યના 82 તાલુકામાં વરસાદ નોંધાઈ ચૂક્યો છે, જેમાં ખાસ કરીને નર્મદાના સાગબારા અને ગરુડેશ્વરમાં માત્ર બે કલાકમાં સૌથી વધુ 4.65 ઈંચ વરસાદ ખાબક્યો છે. સુરત અને વડોદરામાં ગરનાળામાં પાણી ભરાતા વાહનો બંધ પડ્યા હતાં. છોટા ઉદેપુર, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં પણ મધ્યમ વરસાદ નોંધાયો છે.
આજે ધોધમાર વરસાદની આ આગાહીને પગલે તંત્ર સંપૂર્ણપણે એક્શન મોડમાં આવી ગયું છે. બાળકોની સુરક્ષાને ધ્યાને રાખીને અમદાવાદ, વડોદરા અને સુરત સહિત 9 જિલ્લાઓમાં શાળા-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. ગાંધીનગર ખાતે રાહત કમિશનર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને યોજાયેલી ‘વેધર વૉચ ગ્રુપ’ની બેઠકમાં તમામ વિભાગોને સાધનો અને ટીમો સાથે એલર્ટ રહેવા સૂચના અપાઈ છે. રાજ્યમાં 2 ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. આજે અમદાવાદ અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લા સહિત 13 જિલ્લામાં અત્યંત ભારે વરસાદનું ‘રેડ એલર્ટ’ જારી કરાયું છે. તો રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર સહિત 7 જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’ છે. જ્યારે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ‘યલો એલર્ટ’ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
પાવાગઢ યાત્રા મોકૂફ, વડોદરામાં પાણી ભરાયાં
પંચમહાલમાં અતિભારે વરસાદની શક્યતાને પગલે પાવાગઢ મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તોની સુરક્ષા અર્થે આગામી બે દિવસ સુધી પાવાગઢ યાત્રા મોકૂફ રાખવા અપીલ કરાઈ છે. બીજી તરફ, મહીસાગર, છોટાઉદેપુર અને સાબરકાંઠા જિલ્લાઓમાં મોડીરાતથી વરસાદ નોંધાયો છે, વડોદરામાં વરસાદ થમ્યા બાદ પણ અલકાપુરી ગરનાળા જેવા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે વાહનો બંધ પડી જતાં વાહનચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.
સુરતમાં NDRF અને SDRF ટીમો તૈનાત
સુરત શહેર અને જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા ‘રેડ એલર્ટ’ની આગાહીને પગલે જિલ્લા તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. સાવચેતીના ભાગરૂપે નીચાણવાળા વિસ્તારોમાં NDRF અને SDRFની ટીમો તૈનાત કરી દેવામાં આવી છે. કલેક્ટર તેજસ પરમારના જણાવ્યા અનુસાર, અસરગ્રસ્ત અને નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી શરૂ કરાઈ છે. બપોર પછી વરસાદની તીવ્રતા વધવાની શક્યતા હોવાથી નાગરિકોને કામ વગર ઘરની બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે.
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર રહેશે : અંબાલાલ
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, આજે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર સૌથી વધુ રહેશે. જેમાં વડોદરા, આણંદ, નડિયાદ, પંચમહાલ, કપડવંજ, દાહોદ, છોટા ઉદેપુર, મહીસાગર અને ભરૂચના કેટલાક ગામોમાં 4થી 20 ઈંચ સુધીનો વરસાદ પડી શકે છે. આ ઉપરાંત મધ્ય અને ઉત્તર ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, કડી, કલોલ, પાટણ, સાણંદ, માણસા, સાબરકાંઠા અને અરવલ્લીમાં પણ વિરામ બાદ સારો વરસાદ નોંધાશે. પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદી ઝાપટાની શક્યતા છે. 6થી 8 ઓગસ્ટ દરમિયાન બંગાળની ખાડીમાં વધુ એક સિસ્ટમ બનશે. જો તેનો માર્ગ ગુજરાત તરફ રહેશે તો રાજ્યમાં ફરી પૂર આવી શકે છે. આ ઉપરાંત 14 ઓગસ્ટ સુધીમાં નવસારી સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી તાપી નદીનું જળસ્તર વધશે.
રસોઈ પર વરસાદનો ભાર શાકભાજીના ભાવ વધ્યા
સમગ્ર રાજ્યભરમાં મેઘરાજાની જોરદાર બેટિંગના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે, જેની સીધી અસર હવે લોકોની રસોઈ પર જોવા મળી રહી છે. ખાસ કરીને કંકોડા, કોથમીર, મરચાં, ગવાર, ચોળી અને પરવળ જેવા રોજના શાકભાજીમાં 20થી 25 ટકાનો વધારો થયો છે. માર્કેટમાં આવક ઘટવાની સામે માંગ યથાવત્ રહેતાં ભાવ ઊંચકાયા છે. સામાન્ય દિવસોમાં જે શાકભાજી 60થી 90 રૂપિયે કિલો વેચાતું હતું, તેના ભાવ હાલ વધીને રૂ. 100થી 110 પ્રતિ કિલો સુધી પહોંચી ગયા છે.






