ભાવનગર શહેરના નાગરિકોને વિશ્વાસમાં લઈ અલગ-અલગ રોકાણ સ્કીમો સમજાવી કરોડો રૂપિયાનું રોકાણ મેળવી ઠગાઈ આચરવાના ચર્ચિત ગુન્હામાં એલસીબીની ટીમે છેતરપિંડીના આ ગુન્હામાં સંડોવાયેલા એક આરોપીને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વધુમાં પોલીસે ગુનામાં ગુજરાત થાપણદારોના હિતોનું રક્ષણ અધિનિયમ, ૨૦૦૩ (GPID Act) ની કલમ-૩ નો ઉમેરો કર્યો છે.
આ ગુન્હાની વિગતો અનુસાર, વર્ષ ૨૦૨૦-૨૧ના સમયગાળા દરમિયાન ભાવનગરના ઘોઘા સર્કલ નજીક આવેલા ગોવર્ધન કોમ્પ્લેક્સમાં ત્રીજા માળે ‘આરંભ ઇન્ડિયા’ નામે કંપની ચલાવતા હરદિપસિંહ ભગીરથસિંહ ગોહિલ અને તેના ભાઈ બ્રિજરાજસિંહ ગોહિલે અન્ય માણસો રાખીને રોકાણકારોને ટી.વી., ઇલેક્ટ્રોનિક્સ આઈટમ્સના એસેમ્બલીંગ તથા ઘરવપરાશની ચીજવસ્તુઓના ઉત્પાદનના વ્યવસાયમાં રોકાણ કરવાથી સારું વળતર મળશે તેવો વિશ્વાસ અપાવ્યો હતો. રોકાણકારોને અલગ-અલગ સ્કીમોમાં માસિક ૪ થી ૫ ટકા વળતર આપવાની લાલચ આપી રોકાણ મેળવ્યા બાદ, શરૂઆતમાં અમુક મહિના સુધી વળતર ચૂકવીને પાકતી મુદતે કુલ રૂ. ૩,૪૧,૬૬,૯૦૦/- ની રકમ પરત ન આપી ઓફિસ બંધ કરીને નાસી છૂટ્યા હતા અને રોકાણકારોને મોટું નાણાકીય નુકસાન પહોંચાડ્યું હતું.
રોકાણકારો સાથે થયેલા આ મોટા વિશ્વાસઘાતના ગુન્હાની ગંભીરતા ધ્યાને લઈ તેની ઊંડાણપૂર્વકની તપાસ એલસીબીના પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી.ડી. ઝાલાને સોંપવામાં આવી હતી. એલસીબીની ટીમે આરોપીઓના ઘરે ઝડતી તપાસ કરી ગુન્હાને ઉપયોગી જરૂરી દસ્તાવેજો કબજે કર્યા હતા અને ગણતરીના કલાકોમાં જ મળેલ બાતમીના આધારે બ્રિજરાજસિંહ ઉર્ફે બન્ના ભગીરથસિંહ ગોહિલ (ઉં.વ.૨૩, રહે. ગાયત્રીનગર, ભાવનગર) ની ધરપકડ કરી હતી, જ્યારે મુખ્ય આરોપી હરદિપસિંહ ગોહિલને પકડવાના ચક્ર ગતિમાન કર્યા છે. આ કૌભાંડમાં નાણાં ઓળવી જઈ પાકતી મુદતે રકમ પરત ન આપી હોવાથી પોલીસે ગુનામાં ગુજરાત થાપણદારોના હિતોનું રક્ષણ અધિનિયમ, ૨૦૦૩ (GPID Act) ની કલમ-૩ નો ઉમેરો કર્યો છે. પોલીસ ઇન્સ્પેક્ટર મયુરધ્વજસિંહ એમ. સરવૈયાના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.એ. વાઢેર, વી.સી. જાડેજા, પી.ડી. ઝાલા અને સ્ટાફના હિતેશભાઈ મકવાણા તથા બલરાજસિંહ સરવૈયાએ આ સફળ કામગીરી કરી હતી.
આગામી દિવસોમાં ઠગાઈ આચરનારા ઈસમો સામે વધુ આકરા પગલાં ભરવાની તત્પરતા દર્શાવતા ભાવનગર જિલ્લા પોલીસ દ્વારા જાહેર જનતાને અનુરોધ કરવામાં આવ્યો છે કે, જો કોઈ નાગરિકે ‘આરંભ ઇન્ડિયા’ કંપનીમાં નાણાંનું રોકાણ કર્યું હોય અને રકમ પરત ન મળી હોય, તો તેઓ કાયદેસરની કાર્યવાહી કરાવવા માટે જરૂરી પુરાવાઓ સાથે ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક કરી શકે છે.




