ટેલિકોમ સેક્ટરમાં સાયબર ફ્રોડ અને અનધિકૃત કનેક્શન્સ પર લગામ લગાવવા માટે ભારત સરકારે નિયમો મોટા ફેરબદલ કર્યા છે. એક જ વ્યક્તિના નામે જરૂરિયાત કરતા વધુ સિમ કાર્ડ રાખવા અંગેના નિયમોનું હવે અત્યંત કડકાઈથી પાલન કરાવવામાં આવશે. દૂરસંચાર વિભાગ દ્વારા 24 ઓગસ્ટથી તમામ ટેલિકોમ ઓપરેટરોને આદેશ આપવામાં આવ્યો છે કે જે ગ્રાહકો માન્ય મર્યાદા વટાવી ચૂક્યા છે, તેમને કોઈપણ સંજોગોમાં નવું સિમ કાર્ડ આપવાનું બંધ કરવામાં આવે.
DoTનો પરિપત્ર અને ઓપરેટરોને નિર્દેશ
દૂરસંચાર વિભાગ દ્વારા 17 ઓગસ્ટના રોજ એક પરિપત્ર બહાર પાડીને દેશની તમામ ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર કંપનીઓને સ્પષ્ટ સૂચના આપી છે. આ આદેશ મુજબ, કંપનીઓએ એવી ટેકનિકલ અને ઓર્ગેનાઇઝેશનલ સિસ્ટમ તૈયાર કરવી પડશે જેનાથી લિમિટ કરતાં વધુ સિમ લેવાનો પ્રયાસ કરતા ગ્રાહકોની તાત્કાલિક ઓળખ થઈ શકે. જે ગ્રાહકો મહત્તમ મર્યાદાએ પહોંચી ગયા છે, તેમને કંપની દ્વારા સત્તાવાર રીતે જાણ કરવી પડશે કે તેમના નામે વધુ કનેક્શન મળી શકશે નહીં.
એક વ્યક્તિના નામે કેટલા સિમ કાર્ડ હોઈ શકે?
એક નાગરિક પોતાના નામે કેટલા મોબાઇલ કનેક્શન રાખી શકે તેની મર્યાદા કોઈ નવી નથી. DoT દ્વારા એક દાયકા કરતાં પણ વધુ સમય પહેલાં જ આ મર્યાદા નક્કી કરવામાં આવી હતી, જે તમામ ઓપરેટરો અને ટેલિકોમ સર્કલ્સ પર લાગુ થાય છે.






