ગુજરાત સહિત આખા ભારતમાં ખાંડના ભાવ છેલ્લા કેટલાક મહિનાથી કૂદકે ને ભૂસકે વધી રહ્યા છે.એક અહેવાલ અનુસાર આ મહિનામાં જ ભારતમાં ખાંડના ભાવમાં 20 ટકાનો વધારો થયો છે. છૂટક બજારમાં 20 ઑગસ્ટના રોજ ખાંડના ભાવ 55.7 રૂપિયા પ્રતિ કિલો હતા, એવું ભારત સરકારના ગ્રાહક બાબતોના વિભાગના એક અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું.
બજારના જાણકારો કહે છે કે ખાંડના ભાવ આટલા ઊંચા ક્યારેય નથી ગયા. તેઓ કહે છે કે અલ નીનોના પ્રભાવને કારણે 2026ના વર્ષનું નેઋત્યનું ચોમાસું નબળું રહેશે તેવી ધારણા પણ અત્યારે ખાંડના ભાવોને અસર કરી રહી છે. જોકે, કેન્દ્ર સરકારના સત્તાવાર આંકડા અનુસાર દેશમાં શેરડીનું વાવેતર ગત વર્ષ જેટલું જ થયું છે જે પાછલાં પાંચ વર્ષના સરેરાશ વાવેતર વિસ્તાર કરતાં ચારેક લાખ હેક્ટર વધારે છે.
જન્માષ્ટમીથી શરુ થતી તહેવારોની મોસમ નજીક આવી રહી છે ત્યારે ખાંડના ભાવમાં થઇ રહેલા વધારાને નાથવા સરકારે ખાંડની નિકાસ પર પ્રતિબંધ મૂકી દીધો છે અને જથ્થાબંધ વેપારીઓ કેટલી માત્રામાં ખાંડનો સ્ટૉક (જથ્થો) રાખી શકે તે બાબતે સ્ટૉક લિમિટ એટલે કે નિયંત્રણો પણ લાદ્યાં છે.
ખાંડ મિલોનું પ્રતિનિધત્વ કરતી નૅશનલ ફેડરેશન ઑફ કૉ-ઑપરેટિવ શુગર ફૅક્ટરીઝ લિમિટેડ નામની સંસ્થાના ઉપ-પ્રમુખ કેતન પટેલ કહે છે કે 2025-26ના ખાંડ વર્ષમાં દેશમાં ખાંડનું ઉત્પાદન 32 અબજ કિલો રહેવાનો અંદાજ હતો તેની સામે ખરેખર ઉત્પાદન અંદાજે 30 અબજ કિલો જ રહ્યું છે.





