મોરબીમાં ઝૂલતો પુલ તૂટી પડવાની દુર્ઘટનાને લઇને આજે રાજ્યવ્યાપી શોક પાળવામાં આવી રહ્યો છે.જેને લઇને સરકારી ઇમારતોમાં અડધી કાઠીએ રાષ્ટ્રધ્વજ રાખવામાં આવશે.
મોરબી હોનારતને લઇને રાજ્યભરમાં હાહાકાર મચી ગયો છે. આ દુર્ઘટનામાં અનેક લોકો મોતના ખપ્પરમાં હોમાતા લોકો હચમચી ઉઠયા છે. મોરબીની ઘટનાને પગલે તા. 2 ના રોજ રાજ્યવ્યાપી શોકનું એલાન કરવામાં આવ્યુંછે જેથી આજે રાજ્યવ્યાપી શોક પાળવામાં આવશે વધુમાં શોક સભાનું આયોજન કરવામાં આવ્યું છે. ઉપરાંત આજે 2 નવેમ્બરે રાજ્યમાં સરકારી ઇમારતો પર રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ રાખવામાં આવશે તેમજ કોઈ સરકારી જાહેર સમારંભો, સત્કાર સમારોહ કે મનોરંજન કાર્યક્રમો યોજાશે નહીં.
મોરબી દુર્ઘટના પર રાજભવન ખાતે PM મોદીની અધ્યક્ષતામાં હાઈ લેવલ બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં મોરબી દુર્ઘટનાને લઇને 2 નવેમ્બરના રોજ રાજ્યવ્યાપી શોક જાહેર કરવામાં આવ્યો હતો. પ્રધાનમંત્રી સાથેની બેઠકમાં આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ઉલ્લેખનિય છે કે PM મોદીની અધ્યક્ષતામાં યોજાયેલ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી હાજર રહ્યા હતા.
PM મોદીએ લીધી હતી મોરબીની મુલાકાત
મોરબી બ્રિજ દુર્ઘટનાના ત્રીજા દિવસે PM મોદીએ મોરબીની મુલાકાત લીધી હતી. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ બ્રિજનું હવાઇ નિરીક્ષણ કર્યું હતું. વધુમાં મોરબીમાં અકસ્માત સ્થળ પર જઇ બ્રિજ દુર્ઘટનાનો તાગ મેળવ્યો હતો અને સિવિલ હોસ્પિટલ હોસ્પિટલમાં અસરગ્રતો સાથે વાત કરી હતી. ત્યારબાદ PM મોદીની અધ્યક્ષતામાં મોરબી SP કચેરી ખાતે હાઈલેવલ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતુ. જ્યાં પુલ દુર્ઘટનાની સમીક્ષા કરાઇ હતી. આ દરમિયાન PM મોદીએ મોટા આદેશ જારી કર્યા હતા. જેમાં આ ગોઝારી ઘટનાના એક-એક કડીની ઝીણવટભરી તપાસ કરવા સબંધિત વિભાગને સ્પષ્ટ સૂચના આપી દેવામાં આવી છે.