ગુજરાત વિધાનસભાની ચૂંટણી તારીખો જાહેર થયા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ કરપડાના નાનાપોંઢા ખાતે જાહેરસભા સંબોધી હતી. આ સભામાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાને વિશાળ જનમેદનીને સંબોધતા જણાવ્યું કે, લોકતંત્રના ઉત્સવનું બ્યુગલ વાગ્યું છે. ચૂંટણી જાહેર થયા પછી ચૂંટણી પ્રચારનો પહેલો કાર્યક્રમ આદિવાસી ભાઇ-બહેનો વચ્ચે રાખ્યો છે તેનો મને ખૂબ જ આંનદ છે. મારા માટે ‘એ’ ફોર એટલે આદિવાસી.. એટલે મારા માટે સૌભાગ્યની વાત પણ છે કે મારી ચૂંટણીની પહેલી સભા મારા આદિવાસી ભાઇ-બહેનોના આશિર્વાદ લઇને કરીશ.
પ્રધાનમંત્રીએ કહ્યું કે, ગુજરાતના લોકોએ ફરી એક વાર ભાજપની સરકાર બનાવવાનું મન બનાવી દીધું છે. તેના મને દિલ્હીમાં વાવળ મળી ગયા છે. સાથે ભાજપના જૂના તમામ રેકોર્ડ તોડવાનું પણ મન બનાવી દીધું છે. આ ચૂંટણીમાં ગુજરાત ભાજપ મારી પાસે જેટલો સમય માંગશે એટલો સમય હું આપીશ. આ વખતની ચૂંટણીમાં હું મારા જ રેકોર્ડ તોડવા માંગુ છું. નરેન્દ્ર કરતાં ભુપેન્દ્રના રેકોર્ડ મોટા હોય તેના માટે કામ કરવું છે. ગુજરાતના લોકો પાસે ખભેથી ખભો મિલાવી સંપુર્ણ ગુજરાતનો વિકાસ, આપણા સમાજનો વિકાસ કરવાનો અવસર છે.
ભાજપ રાષ્ટ્રના વિકાસ માટે જ ગુજરાતના વિકાસની ભાવના લઇ કામ કરે છે. મને દિલ્હીની જવાબદારી આપી પછી ગુજરાતમાં ભુપેન્દ્રભાઇ પટેલ, સી.આર. પાટીલ સહિતના લોકો વિકાસ યાત્રા આગળ વધારી રહ્યા છે. બે દાયકા પહેલા ગુજરાતમાં નિરાશાનું વાતાવરણ હતું. ભૂકંપ પછી લોકો માનતા કે ગુજરાતે મોતની ચાદર ઓઢી લીધી, વારંવાર હુલડ થતા અને નિર્દોષ લોકોના મોત થતા તેવા દિવસો હતા આ બધા પડકારોને ઝીલી ગુજરાતીઓએ ભેગા થઇ દુનિયામાં ડંકો વગાડયો છે. 20-25 વર્ષ પહેલા આપણી દિકરીઓના ભણતરનો રેસિયો ખૂબ ઓછો હતો અને આજે પરિસ્થિતિ જુઓ આપણી દિકરીઓ ભણીને આપણુ નામ આગળ વધારી રહી છે. ઉમરગામથી અંબાજીમાં વિજ્ઞાન પ્રવાહની નિશાળ ન હતી અને આજે કોલેજ, આઇ.ટી.આઇ, ગોવિંદ ગુર અને ભગવાન બિરસા મુંડા યુનિવર્સિટીઓ છે. એક સમય હતો કે આદિવાસી વિસ્તારમાં હોસ્પિટલ ન હતી આજે આદિવાસી હોસ્પિટલ અને મેડિકલ કોલેજો છે. પહેલા ગામમાં હેન્ડ પંપ લાગે તો ગામમાં પેંડા વહેચાતા અને આજે એસ્ટોલ જેવી યોજનાઓથી આદિવાસી વિસ્તારમાં ઘરે ઘરે પાણી પહોંચ્યુ છે.
આ જનસભામાં રાજયના મંત્રી કનુભાઇ દેસાઇ, નરેશભાઇ પટેલ, જીતુભાઇ ચૌધરી, બિહાર પ્રદેશના મહામંત્રી સંજીવ ચૌરસિયાજી, પ્રદેશ ઉપાધ્યક્ષ ઉષાબેન પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ અલ્કાબેન શાહ, સાંસદ ડો.કે.સી.પટેલ, ધારાસભ્યઓ અને સંગઠનના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે જાહેરસભાને સંબોધતા જણાવ્યું કે, દક્ષિણ ગુજરાતના આદિવાસીઓ, વન બંધુઓ સહિત તમામ વર્ગના લોકોની મોટી સંખ્યામાં ઉપસ્થિતિ જ સાબિત કરે છે કે આજે પણ તેમને વિકાસપુરૂષ એવા પ્રધાનસેવક નરેન્દ્રભાઇ મોદી અને ભાજપ પર અટૂત વિશ્વાસ છે. નરેન્દ્રભાઇના માર્ગદર્શનમાં ગુજરાત વિકાસનો પર્યાય છે. તેમના નેતૃત્વમાં પાછલા બે દાયકામાં આદિવાસી સમાજના વિકાસની દિશા ગુજરાતને મળી છે. વિકાસ શું હોય અને વિકાસ કેવો હોઇ શકે તે આજે સૌને નરેન્દ્રભાઇએ બતાવ્યું છે. વિકાસની રાજનીતીનો દાખલો ગુજરાતમાં ભાજપની ડબલ એન્જિનની સરકારે બેસાડયો છે. આજે પણ ગુજરાતની જનતાને ભરોસાની ભાજપ સરકાર પર વિશ્વાસ છે. ભાજપની સરકારે ટ્રાયબલ ડેવલોપમેન્ટ માટે આગવું મોડલ દેશને આપ્યું છે. એક સમય હતો કે આદિવાસીઓને મરઘા,બતક અને માછલીની જાળની લોન લેવા ચપલ ઘસાઇ જતા હતા. એક લાખ કરોડની વન બંધુ કલ્યાણ યોજના શરૂ કરાતા વન બંધુ વિશ્વ બંધુ બન્યા છે. કેન્દ્ર અને રાજય સરકારની ડબલ એન્જિનની સરકારે વનવાસી વિસ્તારોમાં કનેકટીવીટી વિકસાવી છે. આદિવાસીઓને પાકા મકાન આપ્યા, પાણી વિજળીની સુવિધા પણ આપી છે. ઉમરગામથી અંબાજી સુધી આદિવાસી વિસ્તારમાં 14 જિલ્લામાં 15 હજાર ચેકડેમ,ચાર હજાર તળાવ ઊંડા કરવા અને હાઇલેવલ કેનલના વિકાસના વ્યાપક કામો ભાજપની સરકારે કર્યા છે. અદ્યતન ટેકનોલોજી સાથે સિંચાઇની યોજનાઓ લાવી ખેડૂતોને સિંચાઇનું પુરતુ પાણી પહોંચાડ્યુ છે. ગુજરાતની વિકાસ યાત્રાને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં આગળ લઇ જવાની છે.