વૃદ્ધાવસ્થામાં પીડા ઊભી કરતી સમસ્યાઓમાં એક છે કંપવા, એટલે કે ધ્રુજારીનો રોગ – પાર્કિન્સન્સ, આ પાર્કિન્સન્સ વયસ્ક લોકોના સામાન્ય જીવનમાં મોટી અસર કરતો હોય છે. કંપવાના આ રોગમાં યોગ્ય તાલીમ જીવનશૈલી, જરૂરી બદલાવ અને માર્ગદર્શન જ સૌથી વધુ ઉપયોગી થતું હોય છે. આ રોગથી પીડાતા વયસ્કો માટે ભાવનગર જિલ્લામાં ભાવનગર અને મહુવા આ બે સ્થળોએ સપોર્ટ ગ્રુપ સાથે મદદરૂપ થતી પ્રવૃત્તિ ચાલે છે. બી.કે. પારેખ પાર્કીસન્સ ડિસીસ એન્ડ મુવમેન્ટ ડિસઓર્ડર સોસાયટી દ્વારા ચાલતી આ પ્રવૃત્તિના ડોક્ટર ભાવિન માંડવિયાનુ કહે છે કે, આ એક ચેતાતંત્રને લગતો રોગ છે. શરીરના વિવિધ અવયવોમાં હલનચલનને લગતો આ રોગ કંપવા તરીકે ઓળખાય છે અને તે જાેખમી નથી, પરંતુ સામાન્ય વ્યવહારમાં મુશ્કેલી ઉભો કરતો હોય છે. આ માટે અમારી સોસાયટી સપોર્ટ ગ્રુપ દ્વારા મદદરૂપ થવાની પ્રવૃત્તિ કરે છે. ભાવનગરમાં પીએનઆર હોસ્પિટલ વિદ્યાનગર ખાતે દર રવિવારે સવારે ૧૧ વાગે આવા વડીલોને માર્ગદર્શન, તાલીમ, જરૂરી એક્સરસાઇઝ, આવશ્યકતા મુજબ દવાઓ આપવાની પ્રવૃત્તિ થતી હોય છે. આ ઉપરાંત મુંબઈના આ રોગના નિષ્ણાંત તબીબોના માર્ગદર્શક વેબિનારનું આયોજન પણ થતું હોય છે. તો સ્થાનિક નિષ્ણાતો પણ કેન્દ્રની મુલાકાતે લઈ સહાયભૂત થતા હોય છે. બી કે પારેખ પાર્કિન્સન્સ ડિસીસ એન્ડ મુવમેન્ટ ડિસઓર્ડર સોસાયટી દ્વારા મહુવામાં પણ કેન્દ્ર ચાલે છે.
આ સપોર્ટ ગ્રુપ દ્વારા દર્દીઓ અને તેમની સંભાળ રાખનારાઓને સમૂહમાં પુનર્વસન તથા સંભાળ જેમાં ફિઝીયોથેરાપી, સ્પીચ થેરાપી, એક્યુપેશનલ થેરાપી, મનોવિજ્ઞાન અને કાઉન્સેલિંગ, આહાર અને પોષણ અને સર્જનાત્મક પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે આ ઉપરાંત જન્મ દિવસની ઉજવણી, વિવિધ દિવસોનું સેલિબ્રેશન, પિકનિક પણ યોજવામાં આવે છે. પીએનઆર સોસાયટીના મંત્રી કિરીટભાઈ રાઠોડ કહે છે કે, લોકોમાં જાગૃતતા ઓછી છે અને અમારો પ્રયાસ આવા વયસ્કો વધુને વધુ લાભ લે તેનો છે. ભાવનગર પીએનઆર હોસ્પિટલ ખાતે આ પ્રવૃતિમાં આવતા જરૂરિયાતમંદ વડિલોને દવાઓ ઉપરાંત આવવા – જવાનું રીક્ષાભાડું પણ સંસ્થા આપવા તૈયાર હોય છે. ભાવનગરના આ કેન્દ્ર પર ડૉ.માંડવીયા, ડૉ.અમિત મિત્રા, સહિત ત્રણ નિષ્ણાતોની ટીમ કે.ડી. પડિયાના સંકલનમાં તાલીમ માર્ગદર્શન આપે છે. ભાવનગર જિલ્લામાં માત્ર બે જ આ પ્રકારના સેન્ટર છે.