અમદાવાદ શહેરના મેમનગર વિસ્તારમાં પતંગ ચગાવતા માતા, પુત્રીનું ચોથા માળેથી પટકાતા મોત નિપજ્યું હોવાની ઘટના બની છે. ધાબા પર માતા અને પુત્રી પતંગ ચગાવવા ગયા હતા, ત્યારે આ દુર્ઘટના બની હતી. મેમનગરના નયના ફ્લેટમાં 4 દિવસ પહેલાની આ ઘટના છે. ચોથા માળેથી પટકાતા માતા અને પુત્રીને ગંભીર ઇજાઓ થતાં સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવી હતી, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું છે. આ મામલે ઘાટલોડિયા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
મેમનગરના નયના ફ્લેટની ચાર દિવસ પહેલા આ ઘટના બની હતી. જેમાં માતા-પુત્રી પતંગ ચગાવતાં ટેરેસ પરથી પટકાયા હતા. 40 વર્ષીય નિર્મલા બહેન ઠાકોર અને 12 વર્ષની જિનલ ઠાકોર બુધવારે સાંજના સમયે ફ્લેટના ધાબે ચોથા માળે પતંગ ચગાવી રહ્યા હતા. આ દરમિયાન તેઓ અચાનક જ નીચે પટકાયા હતા અને તેમને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જે બાદ તેમને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન માતા-પુત્રીનું મોત નિપજ્યું છે. ઘટનાને પગલે ઘાટલોડિયા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સાથે જ પોલીસને આ સમગ્ર ઘટના શંકાસ્પદ લાગે છે.
મૃતકના પતિ અને સ્થાનિકોનું કહેવું છે કે, તેઓ પતંગ ચગાવતાં ધાબેથી પટકાયા હતા, પરંતુ પોલીસને સમગ્ર મામલો શંકાસ્પદ લાગી રહ્યો છે. પતંગ ચગાવતાં માતા-પુત્રી એક સાથે કેવી રીતે પટકાયા તે મામલે પોલીસ પણ મૂંઝાઇ છે. હાલ પોલીસ દ્વારા સમગ્ર ઘટના કેવી રીતે બની તે મામલે વધુ વિગતો મેળવી તપાસ શરૂ કરાઇ છે. આ સાથે જ શંકાને પગલે પોલીસ અન્ય પાસાઓની પણ તપાસ કરી રહી છે. હવે જોવાનું રહ્યું કે, પોલીસ તપાસમાં શું સત્ય સામે આવે છે.