ભાવનગરના પાલીતાણામાં શેત્રુંજય પર્વત પર તોડફોડ મામલે પોલીસ એક્શનમાં આવી છે. SPના આદેશ બાદ તાત્કાલિક અસરથી શેત્રુંજય પર્વત પર પોલીસ ચોકી ઉભી કરાઈ છે. પાલીતાણાના શેત્રુંજય તીર્થમાં અસામાજિક તત્વોએ કરેલી તોડફોડના પડઘા ઠેરઠેર પડ્યા છે. દેશભરમાં જૈન સમાજ વિરોધ કરી રહ્યો છે. રવિવારે સમગ્ર દેશમાં જૈન સમાજ દ્વારા રેલી યોજવામાં આવી હતી. શેત્રુંજય મહાતીર્થની રક્ષા માટે મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદ, સુરત, મુંબઈ, દિલ્હી સહિત દેશભરમાં મહારેલીનું આયોજન કરાયું હતું. બાદ આ મામલે પોલીસ એક્શનમાં આવી છે.
શેત્રુંજય પર્વતની સુરક્ષા માટે ભાવનગર પોલીસ દ્વારા પર્વત પર પોલીસ ચોકી ઊભી કરવામાં આવી છે. જેમાં એક PSI, 2 ASI અને 10 પોલીસ કર્મીઓનો સ્ટાફ ફાળવવામાં આવ્યો છે. મહત્વનું છે કે, SP દ્વારા શેત્રુંજય પર્વત પર તાત્કાલિક અસરથી પોલીસ ચોકી શરૂ કરવાના આદેશ આપવામાં આવ્યો હતો.
છેલ્લા ઘણા સમયથી જૈન સમાજ દ્વારા સંમ્મેદ શિખરને પર્યટન સ્થળ જાહેર કરવા અંગે અને ગિરીરાજ શિખર પર તોડફોડ, ગેરકાયદેસર બાંધકામ, દબાણ અને અસામાજિક તત્વોના ત્રાસ સામે રેલીઓ અને આવેદન પત્રો પાઠવવામાં આવી રહ્યાં છે. ગુજરાત સહિત દેશભરમાં સમસ્ત જૈન સમાજ દ્વારા વિવિધ રીતે વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે.
શું છે જૈન સમાજની મુખ્ય માંગણીઓ?
સમસ્ત જૈન સમાજની મુખ્ય માંગણીઓ છે કે, મના રાઠોડ અને અન્ય 5-7 માથાભારે તત્ત્વો પર કડક કાર્યવાહી કરવામાં આવે. ગિરિરાજ ઉપર કરવામાં આવેલ ગેરકાયદે બાંધકામો / દબાણો તાત્કાલિક દૂર કરવામાં આવે. તળેટી રોડ પરના લારી-ગલ્લા વગેરેના દબાણો દૂર કરવામાં આવે. એમને વૈકલ્પિક વ્યવસ્થા આપવામાં આવે. રોહિશાળામાં પ્રભુની ચરણપાદુકાની તોડફોડની તાત્કાલિક ધોરણે તપાસ કરવામાં આવે અને યોગ્ય પગલાં લેવાંમાં આવે. ડોલી એસોશિયેશન દૂર કરવામાં આવે અથવા એનો વહીવટ બદલવામાં આવે. ઘેટીની પાગ બાજુ પણ બાંધકામો અને ગેરકાયદે માઈનિંગ બંધ કરવામાં આવે