કોરોના મહામારી દરમિયાન સોમનાથ ટ્રસ્ટ દ્વારા શરૂ કરાયેલ ડિઝીટલ દર્શન સેવાનો લ્હાવો ઘરેબેઠા કરોડો ભક્તોએ લીધેલો હતો. ત્યાર બાદ દેશ-વિદેશમાં શ્રદ્ધાળુઓ ઘરે બેઠા પર્વ તહેવારો દરમીયાન ભગવાન સાથે નૈકટ્યતાનો અનુભવ કરી શકે, તેવા શુભાશય સાથે ઓનલાઇન દર્શન પૂજા વિગેરે સોમનાથ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવતી હોય છે. હાલમાં જ મહા શિવરાત્રિ પર્વે શરૂ કરાયેલી ઓનલાઇન બીલ્વ પૂજા સવાલાખ શિવભક્તોએ નોંધાવી એક અનોખો રેકોર્ડ સંસ્થાપીત કર્યો છે.
યાત્રી પ્રતિભાવો અને વિનંતીઓને ધ્યાને રાખી ઓનલાઇન પ્રસાદ, વસ્ત્ર પ્રસાદ, બિલ્વ પૂજા, ભાલકા મંદિર ખાતે ભગવાન કૃષ્ણના લાઇવ દર્શન વિગેરે શરૂ કરવામાં આવેલ જેમને ખુબ સારો પ્રતિસાદ સાંપડેલ છે.
ભક્તોની વિનંતીને ધ્યાને લઇ ત્રિવેણી સંગમ સમિપ રામ મંદિર જ્યાં ભગવાન રામ માતા સીતા અનુજ લક્ષ્મણ અને દાસ હનુમાનજી સાથે બિરાજમાન હોય, ત્યારે આ મંદિરના લાઇવ દર્શનનો પ્રારંભ સુપ્રસિદ્ધ કથાકાર પૂ.મોરારી બાપુના કર કમળોથી કરવામાં આવેલ હતો. લોન્ચીંગ વિડિયોનું અનાવરણ જીલ્લા પોલિસ વડા મનોહરસિંહ જાડેજાના વરદ હસ્તે કરવામાં આવેલ હતું, ત્યાર બાદ પૂ.મોરારીબાપુએ કેમેરા રીબીન ખોલી અને લાઇવ દર્શનનો પ્રારંભ કરાવેલ હતો. આ પ્રસંગે ટ્રસ્ટી પ્રો. જે ડી પરમાર, ટ્રસ્ટી પી.કે. લહેરીએ મોરારીબાપુનુ શાલ ઓઢાડી સ્વાગત સન્માન કરેલ હતું.બાપુએ આશિર્વચન આપતા જણાવેલ હતું, કે દ્વાદશ જ્યોર્તિલિંગની જ્યોતીથી વિશ્વને પ્રકાશ અને પ્રેરણા આપે છે, જેમાં સોમનાથનું સ્થાન પ્રથમ છે, જે આપણા સૌ માટે ગૌરવની વાત છે. સોમનાથ ટ્રસ્ટનો સંકલ્પ હતો, પ્રભાસની પાવન ભૂમિમાં રામ મંદિર બને, આ સંકલ્પનુ સાકાર સ્વરૂપ રામ મંદિર દિવ્ય નથી, ભવ્ય નથી, શૈવ્ય છે સેવા કરવા માટે સર્વોત્તમ છે. આ પ્રતિષ્ઠામાં હું ઉપસ્થીત રહેલ તે મારા માટે સૌભાગ્યની વાત છે. સોમનાથના દર્શન તો દેશ-વિદેશમાં ભક્તો કરી રહ્યા હતા, પણ શિવના ઇષ્ટ રામ, રામના ઇષ્ટ શિવ આ હરિ હરના દર્શન ભક્તો કરશે, આ પ્રસંગસાક્ષી બનવા માટે સોમનાથ ટ્રસ્ટનો સાધુ વાદ વ્યક્ત કરેલ હતો.