ડમી કૌભાંડનો મામલો વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ પોલીસ સમક્ષ હાજર થશે. ભાવનગર પોલીસ દ્વારા CRPC 160 મુજબ સમન્સ પાઠવવામાં આવ્યું છે. અગાઉ 19 તારીખના રોજ હાજર રહેવા પાઠવવામાં સમન્સ આવ્યું હતું. જોકે, યુવરાજ સિંહની પત્ની દ્વારા ટ્વીટ કરી 10 દિવસનો સમય માંગવામાં આવ્યો હતો. તબિયત નાદુરસ્ત હોઈ તે પ્રકારનું કારણ આગળ ધરવામાં આવ્યું હતું. જ્યારે 19 તારીખના રોજ ભાવનગર પોલીસ દ્વારા વધુ એક સમન્સ પાઠવવામાં આવ્યું હતું. 21 તારીખના રોજ બપોરે 12 કલાકે હાજર રહેવા સમન્સ પાઠવવામાં આવ્યું હતું.
આજે ભાવનગર પોલીસ સમક્ષ યુવરાજ સિંહ પોતાનો પક્ષ રજૂ કરે છે કે કેમ તે જોવું રહ્યું. બે દિવસ પૂર્વે આઇજી ગૌતમ પરમાર દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. પ્રેસ કોન્ફરન્સમાં આઇજી ગૌતમ પરમારે કહ્યું હતું કે, બિપીન ત્રિવેદી દ્વારા હકીકત જણાવવામાં આવી છે. તેના આધારે પોલીસે તપાસ કરી કેટલાક પુરાવાઓ એકત્રિત કર્યા છે. જે સંદર્ભે યુવરાજસિંહને પોતાનો પક્ષ રજૂ કરવા બોલાવવામાં આવ્યા હતા. જોકે, તેઓ હાજર રહ્યા નથી.
આ મામલે ગઇકાલે યુવરાજસિંહે જણાવ્યું હતું કે, તે કાલે ભાવનગર પોલીસ સમક્ષ હાજર થશે અને તેમના તમામ જવાબ આપશે. આવતીકાલે ડમી ઉમેદવાર કાંડમાં મોટા મગરમચ્છો, મંત્રીઓના નામ સાથે ખુલાસો કરીશ. નેતાઓની રહેમનજર હેઠળ જ આ કૌભાંડ ચાલે છે અને ક્યાંકને ક્યાંક કટકીઓ પહોંચે છે. મારી પાસે આ વાત સાબિત કરવાના તમામ પુરાવા છે. ડિનરની બાબતો, ઓફરની બાબતો વગેરેના ખુલાસો કરીશ. એક આરોપી તરીકે મારે જવાબ લખાવવાનો હોય તો, હું જે નામ આપું તે મંત્રીઓ-નેતાઓના નિવેદન લેવા જ જોઈએ. આ ઉપરાંત તેમણે માહિતી છુપાવવાની વાત નકારી કાઢી હતી. તેમણે વધુમાં ઉમેર્યું છે કે, આ કૌભાંડ વર્ષ 2004થી ચાલે છે. માત્ર 36 આરોપી જ નથી.
14 પૈકી 8 આરોપીઓ સરકારી કર્મચારી
ડમી કૌભાંડનો મામલે SITની ટીમ દ્વારા કુલ 14 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. 14 પૈકી મોટાભાગના આરોપીઓ સરકારી કર્મી હોવાનું સામે આવ્યું છે. 14 પૈકી 8 આરોપીઓ સરકારી કર્મચારી હોવાનું સામે આવ્યું છે. જેમાં શરદ પનોત, પ્રદીપ બારૈયા, પ્રકાશકુમાર ઉર્ફે પીકે દવે, સંજય પંડ્યા, વિરમદેવ સિંહ ગોહિલ, વિપુલકુમાર અગ્રાવત, ભાર્ગવ બારૈયા, રમેશભાઈ બારૈયાનો સમાવેશ થાય છે.