ગુરુવારે પંજાબના અમૃતસરમાં ગોલ્ડન ટેમ્પલ પાસે ફરી એકવાર વિસ્ફોટ થયો હોવાનુ સામે આવ્યું છે. બ્લાસ્ટને કારણે વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો. છેલ્લા પાંચ દિવસમાં આ ત્રીજો બ્લાસ્ટ છે. પોલીસે અમૃતસરથી એક શકમંદની અટકાયત કરી છે. આ બ્લાસ્ટ સુવર્ણ મંદિર પાસે રાત્રે એક વાગ્યે કોરિડોર બાજુ સ્થિત શ્રી ગુરુ રામદાસ સરાય પાસે થયો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને તપાસ શરૂ કરી હતી.
શ્રી ગુરુ રામદાસ સરાય પાસે થયેલ આ વિસ્ફોટનો અવાજ સાંભળીને આસપાસના લોકો બહાર આવી ગયા હતા. તરત જ પોલીસને જાણ કરવામાં આવી હતી. જે બાદમાં ફોરેન્સિક ટીમ ઘટનાસ્થળે પહોંચી. જોકે બ્લાસ્ટની આ જગ્યા પહેલા બ્લાસ્ટની જગ્યાથી સાવ અલગ હતી. નવીનતમ વિસ્ફોટ પ્રથમ ઘટના સ્થળથી લગભગ બે કિલોમીટર દૂર થયો હતો.





