IPL 2023નો લીગ સ્ટેજ રોમાંચથી ભરપૂર રહ્યો હતો. છેલ્લી મેચમાં પ્લેઓફનું સમગ્ર ચિત્ર સ્પષ્ટ થઈ ગયું હતું. લીગ તબક્કાની છેલ્લી મેચમાં ગુજરાત ટાઇટન્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને હરાવ્યું અને આ સાથે જ RCBની પ્લેઓફમાં પહોંચવાની આશા સમાપ્ત થઈ ગઈ અને રવિવારે પ્રથમ મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદને હરાવીને મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઓફમાં પહોંચનારી ચોથી અને છેલ્લી ટીમ બની ગઈ હતી. આ સાથે પ્લેઓફ શેડ્યૂલ પણ ફાઈનલ થઈ ગયું છે. મુંબઈ ઈન્ડિયન્સ લીગ તબક્કા બાદ પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને છે.
IPLના ફોર્મેટ મુજબ બે ક્વોલિફાયર અને એક એલિમિનેટર રમાશે. લીગ તબક્કા પછી, પોઈન્ટ ટેબલમાં પ્રથમ બે ટીમો ક્વોલિફાયર-1માં એકબીજાનો સામનો કરશે. IPL 2023 ના લીગ તબક્કાના અંત પછી ગુજરાત ટાઇટન્સ 20 પોઈન્ટ સાથે પ્રથમ અને ચેન્નઈ સુપર 17 પોઈન્ટ સાથે છે. આ બંને ટીમો વચ્ચે ક્વોલિફાયર-1 રમાશે. આ મેચ 23 મેના રોજ ચેન્નઈમાં રમાશે.
બીજી ક્વોલિફાયર 26 મેના રોજ રમાશે
ક્વોલિફાયર-1 જીતનારી ટીમ સીધી 28 મેના રોજ યોજાનારી ફાઇનલમાં પહોંચી જશે. હારનાર ટીમ બહાર નહીં થાય, તેને ફાઇનલમાં પહોંચવાની બીજી તક મળશે અને તે ક્વોલિફાયર-2 રમશે, જે 26 મેના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. ક્વોલિફાયર-2 ની બીજી ટીમ એલિમિનેટર મેચની વિજેતા હશે, જે પોઈન્ટ ટેબલમાં ત્રીજા અને ચોથા સ્થાને રહેલી ટીમો વચ્ચે હશે.
મુંબઈ-લખનઉ વચ્ચે એલિમિનેટર
આ સિઝનમાં લખનઉ સુપર જાયન્ટ્સ 17 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને અને મુંબઈ ઈન્ડિયન્સ 16 પોઈન્ટ સાથે ચોથા સ્થાને છે. હવે 24મી મેના રોજ ચેન્નાઈમાં આ બંને વચ્ચે એલિમિનેટર રમાશે. આ મેચમાં જે ટીમ હારશે, તેની આઈપીએલ સફર ખતમ થઈ જશે. બીજી તરફ વિજેતા ટીમ ક્વોલિફાયર-2 રમશે અને જે ટીમ આ મેચ જીતશે તે બીજી ફાઇનલિસ્ટ હશે.
ક્વોલિફાયર-2 અને ફાઈનલ અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. ગયા વર્ષે ડેબ્યૂ કરનાર લખનઉ સુપર જાયન્ટ્સ અને ગુજરાત ટાઇટન્સ સતત બીજા વર્ષે પ્લેઓફમાં પહોંચી છે. ગુજરાત ડિફેન્ડિંગ ચેમ્પિયન પણ છે.




