અવિરત વરસાદ અને યાત્રા રૂટ પર આવતા કાટમાળને કારણે યમુનોત્રી ધામ યાત્રા માટે નવા રજીસ્ટ્રેશન પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે, પરંતુ તેમ છતાં લોકો એક યા બીજી રીતે ધામના દર્શન કરવા માંગતા જોવા મળે છે. યમુનોત્રી રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિવિધ સ્થળોએ ભૂસ્ખલનને કારણે વાહનવ્યવહાર માટે અવરોધિત રહ્યો હતો જ્યારે કેદારનાથ અને બદ્રીનાથ હાઈવે પર મોડી સાંજ સુધી વરસાદ ચાલુ રહ્યો હતો.
કેદારનાથ યાત્રાના રજીસ્ટ્રેશન પર ફરીવાર પ્રતિબંધ મૂકાયો હોવાનું સામે આવ્યું છે. , ઉત્તરાખંડ હવામાન વિભાગે 2 જૂન સુધી ઓરેન્જ વેધર એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે ચેતવણી આપી છે કે, વીજળીના ચમકારા સાથે 60 થી 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે વરસાદ, કરા અને વાવાઝોડાની સંભાવના છે. દરેક વ્યક્તિ સતર્ક રહે. જેને લઈ હવે ઉત્તરાખંડ સરકારે પ્રતિકૂળ હવામાન અને શ્રદ્ધાળુઓની સંખ્યામાં વધારાને કારણે કેદારનાથ ધામ યાત્રા માટે ઓનલાઈન નવી નોંધણી પરનો પ્રતિબંધ 15 જૂન સુધી લંબાવ્યો છે. હવે યાત્રાળુઓ 16 જૂન પછી જ યાત્રા માટે પોતાનું રજીસ્ટ્રેશન કરાવી શકશે.
ઉત્તરાખંડમાં વરસાદ અને કરા સાથે જૂન મહિનો શરૂ થઈ રહ્યો છે. 2 દિવસથી સતત વરસાદ અને કરા પડતાં તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. વરસાદના કારણે જ્યાં પહાડી જિલ્લાઓમાં વાતાવરણમાં ઠંડકનો અહેસાસ જોવા મળી રહ્યો છે, ત્યારે માત્ર મેદાની જિલ્લાઓમાં જ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. ગરમીના મહિનામાં વરસાદને કારણે વાતાવરણ ખુશનુમા રહ્યું છે અને પ્રવાસીઓ ઉત્તરાખંડનું આ હવામાન ખૂબ જ પસંદ કરી રહ્યા છે.





