ગુજરાતના વાતાવરણમાં ફરી એકવાર પલટો આવી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં 6થી 9 જુન ચક્રવાત આવવાની સંભાવના છે. જેને લઈ આજથી 5 દિવસ સુધી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. મહત્વનું છે કે, આગાહી મુજબ રાજ્યમાં 50 કિમીની ઝડપે પવન ફૂંકાઇ શકે છે.
ગુજરાતમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદ થઈ રહ્યો છે. આ તરફ હવે હવામાન વિભાગે આજથી 5 દિવસ સુધી વરસાદની આગાહી કરી છે. ગુજરાતમાં વધુ એક સાયકલોનીક સિસ્ટમ સક્રીય થતાં 50 કિમીની ઝડપે રાજ્યમાં પવન ફૂંકાઇ શકે છે. જેને લઈ બનાસકાંઠા, સાબરકાંઠા, સુરત, વલસાડમાં વરસાદની આગાહી છે. આ સાથે નવસારી, દમણ, સૌરાષ્ટ્ર, કચ્છમાં પણ પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.
અંબાલાલ પટેલે કેટલાક ભાગમાં 4 જૂન સુધી વરસાદની આગાહી કરી છે
રાજ્યમાં પ્રી-મોનસુન એક્ટિવિટી વચ્ચે હવે ગુજરાતમાં ચોમાસાને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું કે, ગુજરાતમાં 25 મેથી રોહિણી નક્ષત્ર ચાલે છે, 8 જૂન સુધી રોહિણી નક્ષત્ર રહેશે. 8 જૂને મૃગશીર્ષ નક્ષત્ર બેસી જશે. રોહિણી નક્ષત્રના ચાર પાયા છે. પહેલા ભાગમાં વરસાદ થાય તો 72 દિવસના વાયરા ફૂંકાય છે. બીજા ભાગમાં વરસાદ થાય તો એટલા વાયરાના દિવસ ઓછા ગણવા. એટલે પહેલા અને બીજા પાયામાં વરસાદ થયો છે. તેમજ રોહિણી ઉતરતા પણ વરસાદ થવાની શક્યતા છે.
તેમણે જણાવ્યું કે, ગુજરાતમાં કેટલાક ભાગમાં 4 જૂન સુધી વરસાદની આગાહી છે. તો 3થી 7 જૂન અરબ સાગરમાં હવાનું હળવું દબાણ ઉભું થવાની સંભાવના પણ અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. અંબાલાલ પટેલે જણાવ્યું કે, 8થી 10 જૂન વચ્ચે કેરળમાં ભારે પવન ફૂંકાશે. કેરળના દરિયા કિનારે 200 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. બંગાળના ઉપસાગર પર પણ ચક્રવાત સર્જાવાની શક્યતા છે. ચક્રવાતના કારણે ગુજરાતમાં વરસાદ આવશે. આ દરમિયાન દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ થઈ શકે છે.





