કેરળમાં દસ્તક આપ્યા બાદ દક્ષિણ-પશ્ચિમ ચોમાસું આવતા સપ્તાહ સુધીમાં ઉત્તર ભારતમાં પહોંચવાની ધારણા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 48 કલાકમાં ચોમાસું ઉત્તર-પૂર્વના રાજ્યોમાં આગળ વધે તેવી શક્યતા છે.
હવામાન વિભાગે કહ્યું કે આ વર્ષે 20 જૂન પછી મધ્યપ્રદેશમાં ચોમાસાના આગમનમાં પાંચ દિવસનો વિલંબ થવાની સંભાવના છે. છત્તીસગઢમાં વરસાદની રાહ એક સપ્તાહમાં પૂરી થઈ શકે છે. આ સિવાય રાજસ્થાનમાં જુલાઈના પ્રથમ સપ્તાહમાં ચોમાસું આઠ દિવસના વિલંબ સાથે પહોંચવાની ધારણા છે.
ચક્રવાતી તોફાન બિપરજોય અંગે હવામાન વિભાગે જણાવ્યું હતું કે, અરબી સમુદ્રમાં અત્યંત તીવ્ર ચક્રવાતી તોફાન બિપરજોય ધીમે ધીમે ઉત્તર તરફ આગળ વધી રહ્યું છે. તે થોડા સમય માટે ઉત્તર તરફ આગળ વધવાની ધારણા છે ત્યારબાદ તે ઉત્તર-ઉત્તરપશ્ચિમ તરફ ફરી વળશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, બિપરજોય ગુરુવારે 23.30 કલાકે પૂર્વ-મધ્ય અરબી સમુદ્રમાં ખૂબ જ ગંભીર ચક્રવાતી વાવાઝોડામાં પરિણમ્યું હતું, જે ગોવાના પશ્ચિમ-દક્ષિણપશ્ચિમમાં લગભગ 840 કિમી અને મુંબઈના પશ્ચિમ- દક્ષિણ પશ્ચિમમાં 870 કિમી દૂર હતું. આગામી બે દિવસ દરમિયાન તે લગભગ ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધશે.





