ગુજરાત હાઈકોર્ટે શુક્રવારે મોદી સરનેમ સંબંધિત માનહાનિના કેસમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની અરજીને ફગાવી દીધી હતી. કોર્ટે કહ્યું કે બે વર્ષની સજા સાથે નીચલી અદાલતનો નિર્ણય યોગ્ય છે. આ સાથે જ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે બયાનબાજી તેજ થઈ ગઈ છે.એક તરફ કોંગ્રેસ કહી રહી છે કે રાહુલ ગાંધી સત્યની લડાઈ લડી રહ્યા છે. જેના કારણે તેમને ડરાવવામાં આવી રહ્યા છે, તો બીજી તરફ ભાજપ કહી રહી છે કે રાહુલ ગાંધીએ અપમાનજનક નિવેદન આપ્યું હતું.કોંગ્રેસે કહ્યું છે કે પાર્ટીના નેતા રાહુલ ગાંધી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અદાણી જૂથ વચ્ચેના સંબંધોને વિવિધ મંચો પર સતત ઉજાગર કરી રહ્યા છે, જેનાથી ગુસ્સે થઈને મોદી સરકાર ગાંધી વિરુદ્ધ વિવિધ ષડયંત્ર રચી રહી છે.
કોંગ્રેસના મહાસચિવ સંગઠન કેસી વેણુગોપાલે એક નિવેદનમાં જણાવ્યું હતું કે પાર્ટી ગાંધી સાથે એકજૂથ છે અને તેમની લડાઈમાં સંપૂર્ણ તાકાતથી તેમનું સમર્થન કરી રહી છે. પાર્ટીએ 12 જુલાઈ, બુધવારે દેશભરમાં મૌન સત્યાગ્રહનું આયોજન કર્યું છે. તેમણે માહિતી આપી હતી કે તમામ રાજ્યની રાજધાનીઓમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પ્રતિમાની સામે સવારે 10 થી સાંજના 5 વાગ્યા સુધી મૌન સત્યાગ્રહનું આયોજન કરવામાં આવશે.
પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અને અન્ય નેતાઓ સાથે તમામ સાંસદો, ધારાસભ્યો અને પાર્ટીના તમામ પદાધિકારીઓ સત્યાગ્રહમાં ભાગ લેશે. તેમણે કહ્યું કે ગાંધી મોદી સરકાર દ્વારા સરકારી એજન્સીઓના દુરુપયોગ સામે સતત લડત આપી રહ્યા છે, જેને જોતા ભાજપ સરકારે એક ષડયંત્ર હેઠળ તેમનું લોકસભા સભ્યપદ રદ કર્યું છે.




