મહારાષ્ટ્ર સરકારે ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ અદાણી જૂથની કંપનીને ઔપચારિક રીતે સોંપી દીધો છે. આ પ્રોજેક્ટ હેઠળ મધ્ય મુંબઈમાં આવેલી 259 હેક્ટરની ધારાવી ઝૂંપડપટ્ટીનું 20,000 કરોડ રૂપિયાના ખર્ચે પુનર્વસન કરવામાં આવનાર છે. આ સ્કીમ માટેની સ્પર્ધાત્મક બિડિંગ અદાણી પ્રોપર્ટીઝ દ્વારા ગયા વર્ષે નવેમ્બરમાં જીતવામાં આવી હતી. તેમાં ડીએલએફ અને નમન ડેવલપર્સે ભાગ લીધો હતો. રાજ્ય કેબિનેટે 22 ડિસેમ્બર, 2022 ના રોજ બિડિંગ પ્રક્રિયાના પરિણામને મંજૂરી આપી હતી.
ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ પૂરો થવાથી કંપની મધ્ય મુંબઈમાં લાખો ચોરસ ફૂટના રહેણાંક અને વ્યાપારી સંકુલનું વેચાણ કરીને વધુ આવક ઊભી કરવામાં સક્ષમ બનશે. મહારાષ્ટ્ર સરકારના હાઉસિંગ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટે ગુરુવારે જારી કરેલા આદેશ દ્વારા અદાણી જૂથને અધિકારો આપ્યા છે. આ પ્રોજેક્ટ હેઠળ, 2.5 ચોરસ કિલોમીટરથી વધુ વિસ્તારમાં રહેતા 6.5 લાખ ઝૂંપડપટ્ટીના રહેવાસીઓનું સાત વર્ષની સમયમર્યાદામાં પુનર્વસન કરવામાં આવશે. કંપની ધારાવીના પુનર્વસન, નવીનીકરણ, સુવિધાઓ અને માળખાકીય ઘટકોનો વિકાસ કરશે. આ માટે, સરકારે વિજેતા બિડર પાસેથી રૂ. 20,000 કરોડની ન્યૂનતમ સંકલિત નેટવર્થની માંગ કરી હતી.