સુરેન્દ્રનગરમાં મંગળવારે સાંજે એક હડકાયા શ્વાને રિતસરનો આતંક મચાવ્યો હતો. શહેરના પતરાવાળી હોટલથી મેગામોલ સુધીના દોઢ કિમીના વિસ્તારમાં બે કલાકમાં 70થી વધુ લોકોએ બચકાં ભરતાં ગાંધી હોસ્પિટલમાં સારવાર માટે ટોળેટોળા ઉમટી પડ્યા હતા.દર્દીઓના પહેલીવાર આટલો ઘસારો જોઇ હોસ્પિટલમાંથી નોકરી પૂરી કરી ઘરે ગયેલા સ્ટાફને ફરજ પર બોલાવવાની ફરજ પડી હતી. બીજી તરફ શહેરીજનો ભયના માર્યા બહાર નીકળેલા પોતાના સગાસબંધીઓને ફોન કરી આ બાબતેથી સાવચેત કર્યા હતા. તો સુરેન્દ્રનગર-વઢવાણ-દૂધરેજ નગરપાલિકા પાસે શ્વાન પકડવા માટે કોઇ સ્ટાફ જ ન હોવાની નરી વાસ્તિવકતા બહાર આવી હતી.
મંગળવારે સાંજે એક શ્વાને પતરાવાળી હોટલથી મેગામોલ સુધીના દોઢેક કિલોમીટરના વિસ્તારમાં સાંજે 5-30 વાગ્યાથી 7-30ના સમયગાળા દરમિયાન આ શ્વાને રહેણાંક વિસ્તારોમાં ઘર પાસે ઉભેલા 2 વર્ષના બાળકથી માંડીને 60 વર્ષના વૃધ્ધ સહિત 70થી વધુ લોકોને શિકાર બનાવ્યા હતા. શહેરમાં શ્વાન કરડવા સામે રક્ષણ આપતા હડકવાના ઇન્જેક્શન એકમાત્ર ગાંધી હોસ્પિટલમાં જ અપાતા હોવાથી ગાંધી હોસ્પિટલમાં ઘાયલોનો ધસારો રહેતા 12 નર્સ, 2 હેડ નર્સ, 2 ડોક્ટર્સ અને 2 વોર્ડબોય સહિતની કામે લાગી ગઇ હતી.






