ભારતમાં 5 ઓક્ટોબરથી વર્લ્ડકપની મેચ શરૂ થવાની છે અને એમાં 14 ઓક્ટોબરે ક્રિકેટનું મહાયુદ્ધ, એટલે કે ભારત-પાકિસ્તાન વચ્ચે મુકાબલો જામશે. એવું જ વાતાવરણ ભારત-પાકિસ્તાન વચ્ચે રમાતી કોઇપણ મેચ વખતે હોય છે અને એમાં પણ જ્યારે ક્રિકેટના મહાકુંભમાં પ્રખર પ્રતિસ્પર્ધી એવા ભારત-પાકિસ્તાન ટકરાય ત્યારે તો માહોલ કંઇક ઓર જામે છે ત્યારે અમદાવાદમાં રમાનારી આ હાઇપ્રોફાઇલ ક્રિકેટ મેચની હાલની સ્થિતિની વાત કરીએ તો ડબલ ભાવ આપવા છતાં પણ ભારત-પાકિસ્તાન મેચની ટિકિટ મળતી નથી.
આગામી ઓક્ટોબર મહિનામાં વર્લ્ડકપ યોજાવાનો છે. વર્લ્ડકપમાં 14 ઓક્ટોબરે અમદાવાદમાં ભારત-પાકિસ્તાન વચ્ચે મુકાબલો જામશે, જેને લઇને દર્શકોમાં અનેરો રોમાંચ જોવા મળી રહ્યો છે અને ટિકિટ લેવા પડાપડી થઇ રહી છે. આ મેચ જોવા માટે દર્શકો છેલ્લા એક મહિના કરતાં વધુ સમયથી ટિકિટ મેળવવા પ્રયાસ કરી રહ્યા છે. અત્યારસુધી અલગ-અલગ ઓનલાઇન સ્લોટ દ્વારા ટિકિટનું વેચાણ થતું હતું, પરંતુ જેવો ટિકિટનો સ્લોટ ખુલે અને તરત જ બુકિંગ ફુલ થઇ જાય છે, જેના કારણે દર્શકોમાં નિરાશા જોવા મળી રહી છે. ત્યારે આ બધા વચ્ચે હજુ પણ આશાવાદી દર્શકો આગામી દિવસોમાં ફરીથી ટિકિટના સ્લોટ ખોલવામાં આવે એની રાહ જોઇ રહ્યા છે.
ભારત-પાકિસ્તાન મેચની ટિકિટની શરૂઆતની કિંમત જ 2 હજાર રૂપિયાની છે, જે ટિકિટ વેચવા મૂકતાં તરત જ વેચાઈ જાય છે. અત્યારે પણ ઓનલાઇન ટિકિટનો ભાવ 10 હજાર રાખવામાં આવ્યો છે, જેનું વેચાણ શરૂ થયું નથી. તો પેવેલિયનની ટિકિટ 75 હજાર રૂપિયા સુધી હોવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. અત્યારે તમામ દર્શકો કોઇપણ ભોગે ભારત-પાકિસ્તાન મેચની ટિકિટ બુક કરાવવા પ્રયાસ કરી રહ્યા છે.
અગાઉ ભારત-પાકિસ્તાનની મેચની ટિકિટનું વેચાણ શરૂ થયું હતું. આ મેચની ટિકિટ બુક કરવા ક્રિકેટરસિયાઓ પોતાના લેપટોપ, મોબાઈલ, ટેબ્લેટમાં એપ્લિકેશન ખોલીને બેસી ગયા હતા, પણ જેવા 8 વાગ્યા, સ્લોટ ખૂલ્યો અને એક નોટિફિકેશન આવ્યું કે ‘તમે લાઇનમાં છો, પેજ છોડતા નહીં’. 2 કલાકની રાહ જોયા બાદ આખરે ટિકિટ સોલ્ડ આઉટ એવું નોટિફિકેશન આવ્યું અને ક્રિકેટરસિકો નિરાશ થઇ ગયા.






