મહુવાના વડલી ગામ પાસે આવેલ પ્રાચીન અને ઐતિહાસીક મહત્વ ધરાવતાં ભુતનાથ મહાદેવ મંદિરના પ્રાંગણમાં પૂ. મોરારીબાપુના સંકલ્પથી અને તેઓનાં મુખે ગવાનારી “માનસ ભૂતનાથ” રામ કથાનો આગામી શનિવાર ૨૮ તારીખથી પ્રારંભ થશે.
તલગાજરડા અને વડલી ગામની વચ્ચે ઉભાં કરાયેલા વિશાળ સમીયાણા આ કથાનું મંગલ ગાન થશે. આ કથા વિશેષ રીતે મહત્વ એટલે ધરાવે છે કે પૂજ્ય મોરારીબાપુ એ ગત વર્ષે મહુવા ખાતેના ભવાની ભવાની મંદિર ખાતે યોજાયેલી રામકથામાં જાહેરમાં સંકલ્પ જાહેર કરીને દાનાભાઈ ફાફડાવાળાના યજમાન પદે કથા યોજવાની જાહેરાત કરેલી અને તેનું નામાભિધાન માનસ ભૂતનાથ પણ તે જ કથામાં કરી દેવામાં આવ્યું હતું. આ કથા તલગાજરડાના વાયુમંડળની ૨૧મી કથા છે તથા પુ.બાપુના મુખેથી ગવાયેલી કુલ કથાઓ પૈકીના ક્રમમાં ૯૨૬મી કથા છે.
કથાની તૈયારીના ભાગરૂપે ૧૯૦ વીઘા જમીનમાં વિશાળ કથા સ્થળ તૈયાર કરવામાં આવ્યું છે. તેમાં ૩૦.૦૦૦ લોકો કથાનું શ્રવણ કરી શકે તેવો સવા લાખ ચોરસ ફુટનો મંડપ તૈયાર કરવામાં આવ્યો છે. તેમની બાજુમાં જ એક સાથે ૧૦,૦૦૦ લોકો ભોજન પ્રસાદ લઈ શકે તેવું પ્રસાદ ગૃહ બનાવવામાં આવ્યું છે. ભજન ભોજનના આ ભવ્ય સત્કાર્યમાં મહુવા, ભાવનગર જિલ્લા સહિત દેશ દુનિયાના લોકોને પધારવા જાહેર નિમંત્રણ અપાયું છે.
કથાની પૂર્વ તૈયારી રૂપે મહુવાની વિવિધ સંસ્થાઓ, સામાજિક સંગઠનો કથાના સમગ્ર આયોજનમાં વિશિષ્ટ રીતે જાડાઈ છે તેથી સમગ્ર મહુવા ફરી એકવાર કથામય બની રહ્યું છે.