મહુવા ખાતે મોરારીબાપુ દ્વારા ગુજરાતી ભાષાના ચાર વિદ્યમાન કવિઓને કવિતા ક્ષેત્રના પ્રતિષ્ઠિત નરસિંહ મહેતા એવોર્ડથી વંદના કરીને સન્માનિત કર્યા હતા.
મહુવાના કૈલાશ ગુરુકુળના રમણીય પરિસરમાં આવેલા આદિશંકરાચાર્ય સંવાદગૃહ ખાતે આજે શનિવારે સવારે મહાકવિ વાલ્મીકિ જયંતિ અને શરદપૂર્ણિમના દિવસે જવાહર બક્ષી, રાજેશ વ્યાસ, ઉદયન ઠક્કર અને યજ્ઞેશ દવેને રૂપિયા એક લાખ એકાવન હજારની રાશિ, સન્માનપત્ર, નરસિંહ મહેતાની ધાતુની પ્રતિમા, શાલથી મોરારિબાપુએ નવાજ્યા હતા.
આ વેળાએ આપણી માતૃભાષાના કવિઓ, સાક્ષરોની બહોળી ઉપસ્થિતિ રહી હતી. ઉલ્લેખનીય છે કે પૂ.મોરારીબાપુની પ્રેરણા થકી સને ૧૯૯૯ની આ એવોર્ડનો પ્રારંભ થયો હતો.
કાર્યક્રમના પ્રારંભે નરસિંહ મહેતા સાહિત્ય નિધિ ટ્રસ્ટના ટ્રસ્ટી હરિશ્ચંદ્ર જાેશી એ આ એવોર્ડની વિગતો પૂરી પાડી હતી જ્યારે કવિ નીતિન વડગામાએ ચારેય પુરસ્કૃત કવિઓના સમગ્રતયા કવિકર્મ વિશે વિગતે પ્રકાશ પાડ્યો હતો. જ્યારે દલપત પઢિયારે આજની ઘડી તે રળિયામણી કહીને આજના પ્રસંગને શબ્દના અનુષ્ઠાનો અવસર ગણાવ્યો હતો. અંતમાં મોરારિબાપુ દ્વારા પ્રાસંગિક આશીર્વાદક પ્રવચન થયું હતું. (તસવીર સૌજન્ય: હરેશ જાેષી-કુંઢેલી)