સિહોર તાલુકાના દેવગાણા ગામમાં રહેતા પાલીવાળ બ્રાહ્મણ સમાજના બે પરિવારોએ એકબીજાના ઘર સામે હથિયારો ધારણ કરી ગાળો આપી ધમકી આપ્યાની તેમજ સીસીટીવી કેમેરાને તોડીને નુકસાન કર્યાની સામ સામે પોલીસ ફરિયાદ નોંધાવતા સિહોર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
આ બનાવ અંગે પ્રાપ્ત વિગત મુજબ સિહોર તાલુકાના દેવગાણા ગામમાં રહેતા અને વાળુકડ (જી.જી.) ગામમાં આવેલ પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે નોકરી કરતા કિશોરભાઈ જગજીવનભાઈ દવેએ સિહોર પોલીસ મથકમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે, તેઓ સમાજમાં આગેવાન તરીકે કામ કરતા હોય જે ગામમાં રહેતા નરેશભાઈ ઉર્ફે લતીફ નંદલાલભાઈ જાળેલાને ગમતી વાત ન હોય પોતાનું નામ ખરાબ થાય તેવા ઈરાદાથી ગત રાત્રે નરેશભાઈ ઉર્ફે લતીફ નંદલાલભાઈ જળેલા,રણજીત નંદાભાઇ સોલંકી, નરેશભાઈના દીકરા ગોપાલ અને મેહુલે હાથમાં તલવાર, ધારિયું સહિતના હથિયારો લઇને આવી ઘરની બહાર ઉભા રહી ભૂંડા બોલી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, તેમજ ઘરની બહાર ગોઠવેલ સીસીટીવી કેમેરાને તોડી નાખી રૂ. ૧૦,૦૦૦ નું નુકસાન કર્યું હતું.
જ્યારે સામા પક્ષે અસ્મિતાબેન નરેશભાઈ જાળેલાએ સિહોર પોલીસ મથકમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે, તેમના પતિ નરેશભાઈ અને દીકરા ઘરે હાજર હતા તે દરમિયાન તલવાર અને લોખંડના પાઇપ સાથે આવેલા કિશોર જગજીવનભાઈ દવે, ભરત કલ્યાણભાઈ બારૈયા, મુકેશ મોનજીભાઈ બારૈયા અને ધાર્મિક ભરતભાઈ બારૈયાએ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે શિહોર પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.