પાકિસ્તાને એક ભારતીયને તેનું સર્વોચ્ચ નાગરિક સન્માન નિશાન-એ-પાકિસ્તાન એનાયત કર્યું છે. મંગળવારે પાકિસ્તાનના રાષ્ટ્રપતિ ભવનમાં સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં રાષ્ટ્રપતિ આરીફ અલ્વીએ સૈયદનાનું સન્માન કર્યું હતું. આ દરમિયાન સિંધના ગવર્નર કામરાન ટેસોરી અને વિદેશ મંત્રી જલીલ અબ્બાસ જિલાની પણ હાજર હતા.
પાકિસ્તાન દ્વારા આ સન્માન મેળવનાર તે ચોથા ભારતીય છે. આ સન્માન એવા લોકોને આપવામાં આવે છે જેમણે વૈશ્વિક સ્તરે નેતૃત્વ કર્યું છે અને અસાધારણ પ્રતિભા દર્શાવી છે. આ સન્માન માનવતાવાદી કાર્ય માટે પણ આપવામાં આવે છે. પાકિસ્તાને 1990માં પૂર્વ PM મોરારજી દેસાઈ, 1998માં અભિનેતા દિલીપ કુમાર અને 2020માં કાશ્મીરના અલગતાવાદી નેતા સૈયદ અલી શાહ ગિલાનીને પણ આ સન્માન આપ્યું હતું.
સૈયદના સૈફુદ્દીનના કાર્યાલયે જણાવ્યું હતું કે, તેમને આ સન્માન આરોગ્ય, શિક્ષણ અને પર્યાવરણ ક્ષેત્રે તેમના યોગદાન માટે આપવામાં આવ્યું છે. આ ઉપરાંત તેમને વિશ્વમાં શાંતિને પ્રોત્સાહન આપવા માટે પણ પુરસ્કાર આપવામાં આવ્યો છે.