અમેરિકામાં રહેલા ખાલિસ્તાની આતંકવાદી પન્નુની હત્યાના કથિત કાવતરા મામલે ભારત પર લાગેલા આરોપો ગંભીર રાજદ્વારીય પરિસ્થિતિ તરફ દોરી જઈ શકે છે. ભારતીય મૂળના અમેરિકન સાંસદોએ આશંકા વ્યકત કરી હતી કે જો ભારતીય તપાસ અધિકારીઓ પન્નુ કેસની યોગ્ય તપાસ નહીં કરે તો તેની અસર ભારત-અમેરિકાના સંબંધો પર પડી શકે છે. દરમિયાન, બાઈડેન વહીવટીતંત્રના અધિકારીઓએ ભારતીય મૂળના પાંચ અમેરિકન સાંસદોને નિખિલ ગુપ્તા સામેના આરોપો અંગે માહિતી આપી હતી. આ પછી પાંચેય સાંસદોએ સંયુક્ત નિવેદન બહાર પાડ્યું હતું.
મીડિયા અહેવાલો અનુસાર, સાંસદ અમી બેરા, પ્રમિલા જયપાલ, રો ખન્ના, રાજા કૃષ્ણમૂર્તિ અને શ્રી થાનેદારે એક સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું કે કોંગ્રેસના સભ્યો તરીકે, અમારા લોકો અને વ્યવસ્થાની ભલાઈ અમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. મુકવામાં આવેલા આરોપો ચિંતાજનક છે. અમે આ મામલે તપાસ કરવાની ભારત સરકારની જાહેરાતને આવકારીએ છીએ. ભારતે ઉંડાણપૂર્વક તપાસ કરવી જોઈએ. આરોપીઓને શોધી કાઢવા જરૂરી છે. અમે માનીએ છીએ કે યુએસ-ભારતની ભાગીદારીની બંને દેશોના લોકો પર સકારાત્મક અસર પડી છે. જો તપાસ યોગ્ય રીતે કરવામાં નહીં આવે તો ભાગીદારીને નુકસાન થઈ શકે છે.






