22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્ત્સવ યોજાવાનો છે. આ પહેલા અયોધ્યામાં રામલલાના દર્શન કરવા માંગતા લોકો માટે અમદાવાદથી અયોધ્યા માટેની પ્રથમ ફ્લાઇટ આજથી શરૂ કરવામાં આવી છે. અમદાવાદ અયોધ્યા માટેની પ્રથમ ફ્લાઇટ આજે રવાના થઇ હતી. આ દરમિયાન મુસાફરો ભગવાન રામ, લક્ષ્મણ, સીતા અને હનુમાનના વેશમાં પહોંચ્યા હતા.
અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ એરપોર્ટથી અયોધ્યાના મહર્ષિ વાલ્મિકી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ સુધી ફ્લાઇટ દોડશે. અમદાવાદથી અયોધ્યા માટે પહોંચેલા મુસાફરોએ ફ્લાઇટની ઉડાન પહેલા ક્રૂ મેમ્બરને મીઠાઇ ખવડાવી હતી. મુસાફરો અમદાવાદથી અયોધ્યાની ફ્લાઇટમાં ભગવાન રામ, લક્ષ્મણ, સીતા અને હનુમાનના વેશમાં પહોંચ્યા હતા. આ દરમિયાન મુસાફરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
અમદાવાદથી અયોધ્યા સુધી નોનસ્ટોપ ફ્લાઇટની વ્યવસ્થા કરવામાં આવતા હવે અનેક સંતો-ભક્તો અયોધ્યા જઇને રામલલાના દર્શન આસાનીથી કરી શકશે. ઈન્ડિગો એરલાઇન્સ દ્વારા આ ફ્લાઇટને શરૂ કરવામાં આવી છે જેમાં ભક્તોને અમદાવાદથી સીધા અયોધ્યા પહોંચવામાં સરળતા રહેશે.
અમદાવાદથી અયોધ્યા ફ્લાઇટનો ટાઇમટેબલ
અમદાવાદથી અયોધ્યા વચ્ચે ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટ 6E 6375 મંગળવાર, ગુરૂવાર અને શનિવારે ઉડાન ભરશે. આ ફ્લાઇટ અમદાવાદાથી સવારે 9.10 વાગ્યે ઉપડશે અને 11.00 વાગ્યે અયોધ્યા પહોંચાડશે.
અયોધ્યાથી ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટ નંબર 6E 112 મંગળવાર, ગુરૂવાર અને શનિવારે અમદાવાદ આવવા માટે ઉડશે. અયોધ્યાથી આ ફ્લાઇટ 11.30 કલાકે ઉડશે અને અમદાવાદ બપોરે 13.40 પહોંચશે.