ભાવનગરના વાઘાવાડી રોડ, વેલેન્ટાઈન સર્કલ પાસે આજે રહેલી સવારે બે બાઈક વચ્ચે અકસ્માતની ઘટનામાં રત્નકલાકાર યુવકને લોહીયાળ અને ગંભીર પ્રકારની ઇજા થતા તેનું મોત નીપજ્યું હતું ત્યારે અન્ય એક યુવકને ઇજા થતાં તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
ભાવનગરના કુંભારવાડા, મોતીતળાવ રોડ પર ગઈકાલે બાઈક ચાલક યુવકનું અકસ્માતમાં મોત થયાની ઘટના તાજી છે ત્યારે આજે સવારે શહેરમાં વાઘાવાડી રોડ, વેલેન્ટાઇન સર્કલ પાસે બે બાઈક ધડાકાભેર સામસામે અથડાતા રત્નલલકાર યુવાન રાહુલ અશોકભાઈ બારૈયા ( રહે. પડવા,તા.ઘોઘા ) નું ગંભીર ઇજા થવાથી કરુણ મોત નીપજ્યું હતું. મૃતક યુવાન તેમના માતા-પિતાનો એકમાત્ર પુત્ર હોવાનું સામે આવ્યું છે. આમ આ અકસ્માતની ઘટનાથી માતા-પિતાનો ટેકો છીનવાયો છે.
અકસ્માતની આ ઘટનામાં સામેના બાઈક ચાલક જયેશ ઘનશ્યામભાઈ વેગડને ગંભીર ઇજા થતાં તેને સારવાર અર્થે સર ટી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનામાં પગલે રોડ પર લોકો એકઠા થઈ ગયા હતા અને પોલીસને જાણ કરતા નીલમબાગ પોલીસ બનાવ સ્થળે દોડી ગઈ હતી અને તપાસ હાથ ધરી હતી.
ધુમ સ્ટાઇલથી દોડતા સ્પોર્ટ્સ બાઇકર્સ સામે તંત્ર બેધ્યાન હોવાની લોકોમાં રાવ
વાઘાવાડી રોડ પર બે બાઇક વચ્ચે અકસ્માતની ઘટનામાં સ્પોટ્ર્સ બાઇક અને સ્પ્લેન્ડર વચ્ચે આ દુર્ઘટના થઇ હતી. જેમાં સ્પોટ્સ બાઇકના પાટ્ર્સ તુટીને રસ્તા પર વેરવિખેર પડ્યા હતાં તેના પરથી અકસ્માતની ગંભીરતાનો ખ્યાલ આવતો હતો. શહેરમાં સ્પોર્ટ્સ બાઇક ચાલકો બીજાની જીંદગી જાેખમાય તે રીતે ધુમ સ્ટાઇલથી વાહન ચલાવતા હોવાનું લોકોમાં ચર્ચાઇ રહ્યું હતું ત્યારે તંત્ર દ્વારા બેફામ ગતિથી વાહન ચલાવતા તત્વો સામે ઓવર સ્પીડના કેસ શા માટે દાખલ નથી કરાતા તેવો પ્રશ્ન પણ ઉઠ્યો છે.