ભાવનગર અને મહુવા માર્કેટ યાર્ડમાં ડુંગળીની મબલખ આવક થઇ રહી છે પરંતુ નિકાસ બંધૈં હોવાથી ડુંગળીના ભાવ તળિયે જતાં જગતના તાતને રડવાનો વારો આવ્યો છે. ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ લગાવ્યાના પછીના સપ્તાહથી ભાવ અડધા થઈ ગયા હતા જે હજુ ઊંચા આવ્યા નથી.આ અંગે મહુવા યાર્ડ ના ચેરમેને એક માત્ર એ અવાજ ઉઠાવ્યો છે, ભાજપના અન્ય સહકારી અને ખેડૂત અગ્રણીઓનું મૌન જગતાતને અકળાવી રહ્યું છે.
કેન્દ્ર સરકાર દ્વારા તા. ૮ ડિસેમ્બરના રોજ ડુંગળીની નિકાસ પ્રતિબંધ લગાવ્યા બાદના સપ્તાહમાં ડુંગળીના ભાવ અડધા થઈ ગયા હતા. હવે ખેતરમાંથી બજારમાં ડુંગળની મબલખ આવક થતાં વધુ ૨૫ ટકા ભાવ વધુ ગગડયા છે. તા. ૨૮/૧ના રોજ મહુવા માર્કેટ યાર્ડમાં ૪ લાખ બોરી ડુંગળીની આવક થઈ અને ભાવ માત્ર ૧૦૦ થી ૨૦૦ની અંદર આવી ગયો હતો. જા નિકાસ બંધી હટી જાય તો ડુંગળીના ભાવ ઓછામાં ઓછો રૂ. ૧૦૦ વધી જાય તેમ છે. ગત સિઝનમાં ખેડૂતોએ નુકસાની કરી ડુંગળી વેચી હતી ત્યારે આજે ફરી ખેડૂતોને નુંકસાની વેઠવાનો સમય આવ્યો છે. ગત વર્ષે ડુંગળી પર નિકાસબંધી નહોતી પરંતુ ત્યારે મોટી માત્રામાં ડુંગળીની આવક થતાં ભાવ ગગડયા હતા અને આ વખતે ડુંગળીની આવક વધી તેમજ નિકાસબંધીના નિર્ણયથી ખેડૂતોને સારા ભાવ નથી મળી રહ્યાં ત્યારે ડુંગળી પકવતા ખેડૂતોને નુંકસાનીથી બચાવવા માટે તાત્કાલિક અસરથી નિકાસ પરનો પ્રતિબંધ હટાવવાની માંગ સાથે મહુવા માર્કેટ યાર્ડના ચેરમેન ઘનશ્યામ પટેલ દ્વારા કેન્દ્ર સરકારને પત્ર લખવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે , તાજેતરમાં ભાવનગર યાર્ડમાં પણ ઐતિહાસિક કહી શકાય તેવી પોણા ત્રણ લાખ ડુંગળીની બોરીની આવક થઈ હતી પરંતુ ભાવ તળિયાના રહેતા ખેડૂતોને ઉપજ ખર્ચ નીકળવો પણ મુશ્કેલ બન્યો હોવાનો કકળાટ વ્યાપ્યો છે.