ઉત્તર પ્રદેશની બાંદા જેલમાં સજા ભોગવી રહેલા માફિયા અને પૂર્વ ધારાસભ્ય મુખ્તાર અંસારીનું કાર્ડિયક એરેસ્ટથી મોત થયું છે. ડીસી એસ.એન.સાબતે કહ્યું હતું કે, મુખ્તાર અંસારી રોઝો રાખતો હતો. ગુરુવારે રોજા રાખ્યા બાદ તેની અચાનક તબીયત લથડી હતી.
મુખ્તારના મોત બાદ બાંધામાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. આ ઉપરાંત રાજ્યના તમામ જિલ્લાઓમાં પણ સુરક્ષામાં વધારો કરાયો છે. લખનઉ, કાનપુરથી લઈને મઉ, ગાઝીપુર તમામ જિલ્લાના પોલીસ અધિકારીઓને સુરક્ષા વધારવા આદેશ અપાયો છે. સંવેદનશીલ વિસ્તારોમાં પણ પોલીસ ફોર્સ તહેનાત કરવા અને પેટ્રોલિંગ વધારવા આદેશ આપી દેવાયો છે. લખનૌમાં આજે જુમ્મા છે, જેને લઈને રાજ્યની મુખ્ય મસ્જિદોમાં હાઈ એલર્ટ છે. મુખ્તાર અંસારીના મોત બાદ સંવેદનશીલ મુસ્લિમ વિસ્તારોમાં ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. લખનૌમાં પોલીસ હેડક્વાર્ટરથી ગાઝીપુર સહિત પૂર્વાંચલના તમામ જિલ્લાઓ પર નજર રાખવામાં આવશે.