યુનાઈટેડ નેશન્સ દ્વારા જાહેર કરાયેલા ખોરાકના બગાડ અને ભૂખમરાના આંકડા જોઈને તમને આશ્ચર્ય થશે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વિશ્વમાં દરરોજ જેટલા લોકો ભૂખ્યા પેટે સૂઈ જાય છે તેના કરતા વધારે અનાજનો દરરોજ બગાડ થાય છે. હોટેલ અને રેસ્ટોરન્ટના માલિકો આમાં સૌથી મોટી ભૂમિકા ભજવે છે.
સંયુક્ત રાષ્ટ્રના અહેવાલમાં જણાવાયું છે કે, વર્ષ 2022માં વૈશ્વિક સ્તરે કુલ અનાજ ઉત્પાદનના 19 ટકા એટલે કે લગભગ 1.05 અબજ ટન અનાજનો બગાડ થયો હતો. યુએન એન્વાયર્નમેન્ટ પ્રોગ્રામનો ફૂડ વેસ્ટ ઈન્ડેક્સ રિપોર્ટ 2030 સુધીમાં ખાદ્ય કચરાને અડધો કરવા માટે દેશોની પ્રગતિ પર નજર રાખે છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, જો અનાજનો બગાડ અટકાવવામાં આવે તો દુનિયામાંથી ભૂખમરો દૂર થઈ શકે છે.
યુનાઈટેડ નેશન્સે જણાવ્યું હતું કે, વર્ષ 2021માં પ્રથમ રિપોર્ટ કરતા ઈન્ડેક્સ માટે રિપોર્ટિંગ કરનારા દેશોની સંખ્યા લગભગ બમણી થઈ ગઈ છે. વર્ષ 2021ના રિપોર્ટમાં એવો અંદાજ લગાવવામાં આવ્યો હતો કે, વર્ષ 2019માં વૈશ્વિક સ્તરે ઉત્પાદિત ખોરાકમાંથી 17 ટકા એટલે કે 931 મિલિયન ટન અનાજનો બગાડ થયો હતો. જોકે હજુ સુધી તમામ દેશોમાંથી તેના વાસ્તવિક આંકડા મળ્યા નથી.
સંશોધકોએ ઘરો, ખાદ્ય સેવા અને છૂટક વિક્રેતાઓ પર દેશના ડેટાનું વિશ્લેષણ કર્યું. તેઓએ જોયું કે દરેક વ્યક્તિ વાર્ષિક આશરે 79 કિલોગ્રામ ખોરાકનો બગાડ કરે છે. જે વિશ્વભરમાં દરરોજ ઓછામાં ઓછા એક અબજ પ્લેટ ખોરાકનો બગાડ થાય છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, હાલમાં વિશ્વમાં 783 મિલિયન લોકો દરરોજ તીવ્ર ભૂખનો સામનો કરે છે, જ્યારે 1 અબજ લોકોનો ખોરાક વેડફાય છે.
રિપોર્ટમાં સૌથી ચોંકાવનારી બાબત એ છે કે, જે અનાજનો બગાડ થઈ રહ્યો છે તેમાં સૌથી મોટો હિસ્સો સામાન્ય લોકોના ઘરેથી આવે છે. તમને જાણીને નવાઈ લાગશે કે કુલ વેડફાઈ ગયેલા અનાજમાંથી 60 ટકા અનાજ ઘરોમાં ફેંકી દેવામાં આવે છે. આ ઉપરાંત 28 ટકા અનાજ હોટલ અને રેસ્ટોરન્ટ દ્વારા વેડફાય છે, જ્યારે 12 ટકા અનાજ છૂટક વેપારીઓ દ્વારા વેડફાય છે. રિપોર્ટના લેખક ક્લેમેન્ટાઇન ઓ’કોનોર કહે છે કે તે એક જટિલ સમસ્યા છે, પરંતુ સહયોગ અને પ્રણાલીગત કાર્યવાહી દ્વારા તેનો સામનો કરી શકાય છે. વિશ્વમાં ઘણી જગ્યાએ ખાદ્ય સંકટ ઘેરી બની રહ્યું છે.