સુરત લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું નોમિનેશન રદ થયા બાદ સુરત લોકસભાના આઠ અપક્ષ ઉમેદવારોએ પણ પોતાનું નોમિનેશન પરત લઇ લીધુ હતું. તે બાદ ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિન હરીફ જીતી ગયા હતા. હવે નિલેશ કુંભાણી ભાજપમાં સામેલ થઇ શકે છે. સુત્રો અનુસાર, તે આ અઠવાડિયે જ ભાજપમાં સામેલ થશે. નિલેશ કુંભાણી ફોર્મ રદ થયા બાદ પોતાના ઘરેથી ગાયબ થઇ ગયા છે અને તેમના ઘર પર તાળું લટકેલું જોવા મળી રહ્યું છે.
આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે નિલેશ કુંભાણીની પત્ની નીતા કુંભાણીનું નિવેદન સામે આવ્યું છે. નીતા કુંભાણીએ કહ્યું કે, ‘શું નિલેશ કુંભાણીએ કહ્યું કે મે પૈસા લીધા છે કે આવું કોઈ કામ કર્યું છે? શું નિલેશ કુંભાણીએ કહ્યું કે હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યો છે? પાર્ટીના કાર્યકરો પણ આંતરિક રીતે નીલેશનું નામ કલંકિત કરવાનું કાવતરું કરી રહ્યા છે. તેમનું નોમિનેશન રદ કરવામાં આવ્યું છે અને તેથી તેઓ કાર્યવાહી કરવા અમદાવાદ ગયા છે. પાર્ટીના કાર્યકરો તેમના ઘરે સ્ટંટ કરીને નિલેશનું તેમજ અમારા પરિવારનું નામ કલંકિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. જ્યારે અમે પ્રચારમાં જતા ત્યારે તે લોકો અમારી સાથે પ્રચારમાં પણ જોડાતા ન હતા અને આજે તેઓ ઘરની બહાર હંગામો મચાવી રહ્યા છે. જો ઉમેદવારનું નામાંકન રદ થયું હોય તો તેને મદદ કરવાને બદલે તેની સામે કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે.