1950 અને 2015 વચ્ચે દેશની વસ્તીમાં હિન્દુઓનું પ્રમાણ 6.62 ટકા ઘટ્યું છે. જ્યારે આ ગાળામાં મુસ્લિમોની વસ્તી 4.25 ટકા વધી છે. વડાપ્રધાનના આર્થિક સલાહકાર પરિષદની રિપોર્ટમાં વિગતો સામે આવી છે.
દેશમાં 2019-21 દરમિયાન હિંદુઓમાં પ્રજનન દર 1.94 અને મુસ્લિમોમાં 2.36 રહ્યો. એટલે કે સરેરાશ દરેક હિંદુ મહિલાને 2 અને મુસ્લિમ મહિલાઓને 2થી વધુ બાળકો છે. 1992માં મુસ્લિમોમાં પ્રજનન દર 4.4 અને હિંદુઓમાં 3.3 હતો. આ આંકડા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા નેશનલ હેલ્થ સર્વે રિપોર્ટમાં નોંધાયા છે. દેશમાં એકંદર પ્રજનન દર ઘટીને 2.3 પર આવી ગયો છે, જે 1992-93માં 4.4 હતો.
જો કે, અન્ય સમુદાયોની તુલનામાં, મુસ્લિમોમાં સૌથી વધુ પ્રજનન દર છે. ખ્રિસ્તીઓમાં તે 1.88 છે, શીખો અને જૈનોમાં તે 1.61 છે. 2019-21માં ગર્ભનિરોધક માધ્યમોનો ઉપયોગ કરતા મુસ્લિમો વધીને 47.4% થયા, જે 2015-16માં 37.9% હતા. 32% મુસ્લિમો માને છે કે ગર્ભનિરોધક વિશે વિચારવું એ સ્ત્રીનું કામ છે, જ્યારે 36% હિન્દુઓ એવું માને છે. 2019-21માં અભણ મુસ્લિમ મહિલાઓની સંખ્યા ઘટીને 21.9% થઈ છે, જે 2015-16માં 32% હતી. અભણ મહિલાઓમાં સરેરાશ પ્રજનન દર 2.8 છે અને 12મું કે તેથી વધુ શિક્ષણ ધરાવતી મહિલાઓમાં 1.8 છે.