કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ ગુરુવારે સામ પિત્રોડાની તાજેતરની ટિપ્પણીઓનો બચાવ કરવા જતા બફાટ કરી દીધો છે. પિત્રોડાના ભારતના જુદા જુદા ભાગોની વ્યક્તિઓને વિવિધ વંશીય જૂથો સાથે સરખાવવાના સામ્યતા વિશેના પ્રશ્નોના જવાબમાં અધીર રંજન ચૌધરીએ કહ્યું, “આપણા દેશમાં પ્રોટો-ઓસ્ટ્રેલિયન, મોંગોલિયન વર્ગ જેવા લોકો પણ છે.” તેમણે ભારતની વસ્તીની વિવિધતાને અને ભૌગોલિક પરિબળોને કારણે દેખાવમાં વિવિધતા પર ભાર મૂક્યો હતો.
ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા શેહઝાદ પૂનાવાલાએ કોંગ્રેસ નેતા અધીર રંજનના નિવેદનને વખોડ્યું. પૂનાવાલાએ કોંગ્રેસ પાસેથી સ્પષ્ટતા માંગી અને પૂછ્યું કે શું કોંગ્રેસ અધીર રંજન ચૌધરી સામે પગલા લેશે?