લોકસભા ચૂંટણી વચ્ચે રાજકારણમાં અનેક મુદ્દા ઊછળી રહ્યા છે ત્યારે સમાજવાદી પાર્ટી અને I.N.D.I.A. ગઠબંધનના નેતા અખિલેશ યાદવે હવે ઈડી અને સીબીઆઇને લઈને એક નવો મુદ્દો ઊઠાવ્યો છે.
અખિલેશ યાદવે એક મોટી માગ કરતાં કહ્યું કે ઈડી અને સીબીઆઈનો ભાજપના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકાર દ્વારા દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. જો I.N.D.I.A. ગઠબંધનની સરકાર બનશે તો હું પોતે કેન્દ્ર સરકાર સમક્ષ પ્રસ્તાવ લાવીશ કે ઈડી અને સીબીઆઇને બંધ કરી દેવામાં આવે. આ બંને એજન્સીઓ બિનજરૂરી છે.
અખિલેશ યાદવે કહ્યું કે ઈડી અને સીબીઆઈ બંધ થવા જોઈએ. જો કોઇ છેતરપિંડી કે કૌભાંડ કરશે તો તપાસ કરવા માટે આવકવેરા વિભાગ છે. તે તપાસ જોઈ લેશે, સીબીઆઈની શું જરૂરી છે? દરેક રાજ્યમાં એન્ટી કરપ્શન ડિપાર્ટમેન્ટ પણ છે. જરૂર પડશે તો તેનો ઉપયોગ કરાશે. ભાજપ દ્વારા ઈડી-સીબીઆઈનો ઉપયોગ પણ રાજકીય લાભ ખાટવા માટે જ કરવામાં આવી રહ્યો છે.
જો સરકાર બનાવવી હોય કે પાડી દેવી હોય ત્યારે ભાજપ ઈડી સીબીઆઈને હથિયાર તરીકે ઉપયોગમાં લે છે. નોટબંધીના સમયે જ્યારે આવી એજન્સીઓએ તપાસ કરવી જોઇતી હતી ત્યારે કેમ ન કરી? લોકોએ તેમના કાળા નાણા સફળતાપૂર્વક વ્હાઈટ કેવી રીતે કરી લીધા? આવી એજન્સીઓ ત્યારે તપાસ કરવામાં કેમ નિષ્ફળ રહી?