ગઈકાલે મેઘરાજાએ 237થી વધુ તાલુકાઓમાં સટાસટી બોલાવી છે, જ્યારે હજી પણ મેઘરાજા વરસી રહ્યા છે. સૌરાષ્ટ્ર પંથકના જિલ્લાઓમાં તો સાંબેલાધાર વરસાદ વરસતા લોકો હવે મેઘરાજા ખમૈયા કરે તેવી પ્રાર્થના કરી રહ્યા છે. જામનગર શહેર અને જિલ્લામાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. વોર્ડ નંબર 2માં આવેલા પુનિતનગર વિસ્તારમાં લોકોના ઘર ફરતે પાણી ફરી વળતા 50 જેટલા લોકોનું રેસ્ક્યૂ કરાયું હતું. રેસ્ક્યૂ ટીમ સાથે ધારાસભ્ય રિવાબા પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતાં. ખેડાના મહેમદાવાદના સિંહુજ પાસે પાણીના ધસમસતા પ્રવાહમાં કાર ફસાતા કારમાં સવાર પાંચ લોકોનું રેસ્ક્યૂ કરાયું હતું.
વડોદરા : વિશ્વામિત્રી નદી ગાંડીતૂર બનતા પૂરની સ્થિતિ સર્જાઈ
વડોદરા શહેરના આજવા ડેમમાંથી સતત છોડાયેલા પાણીને પગલે વિશ્વામિત્રી નદી ગાંડીતૂર બની છે અને એના પાણી આસપાસના કાંઠા વિસ્તારમાં ઘૂસી ગયાં છે. એને કારણે લાખો લોકો પોતાના ઘરમાં જ પુરાયેલા છે. ઘણા લોકો પૂરના પાણીમાં ફસાઇ ગયા હોય એવી સ્થિતિનું પણ નિર્માણ થયું છે. તેમને ફાયર બ્રિગેડ દ્વારા રેસ્ક્યૂ કરવામાં આવી રહ્યા છે. આર્મીની વધુ 3 કોલમ, એનડીઆરએફની 1 અને એસડીઆરએફની 1 ટીમ રેસ્ક્યૂ માટે ફાળવવામાં આવી છે. આ ટીમ ઉપરાંત વડોદરામાં અગાઉ આર્મીની 4 કોલમ, એનડીઆરએફની 4 તથા એસડીઆરએફની 5 ટીમ ડિપ્લોય કરવામાં આવી છે. તો શહેરમાં સતત 3 દિવસથી વરસતા વરસાદના પગલે અનેક વૃક્ષો અને વીજળીના થાંભલા ધરાશાયી થતા 1.25 લાખ મકાન અને 250 ગામડાંમાં અંધારપટ છવાયો છે.