ફેંગલ વાવાઝોડું આજે બપોરે પુડુચેરી નજીક પહોંચે તેવી શક્યતા છે. આ અંગે વહીવટી અધિકારીઓએ સ્થાનિક લોકોને તેમના ઘરમાં રહેવાની સલાહ આપી છે. વાવાઝોડાને જોતા શનિવારે તમામ શાળા અને કોલેજો બંધ રહેશે.
ભારતીય હવામાન વિભાગે જણાવ્યું હતું કે ચક્રવાતી તોફાન શનિવાર બપોર સુધીમાં પુડુચેરી નજીક પહોંચવાની સંભાવના છે. આ દરમિયાન પવનની ઝડપ 90 કિમી પ્રતિ કલાકની રહી શકે છે. જિલ્લા મેજિસ્ટ્રેટ એ કુલોથુનગને PWD, સ્થાનિક વહીવટીતંત્ર, પોલીસ અને અન્ય વિભાગોના અધિકારીઓ સાથે પરિસ્થિતિ અંગે ચર્ચા અને સમીક્ષા કરી હતી.
ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હાલમાં બંગાળની ખાડીમાં ફેંગલ વાવાઝોડું તીવ્ર બની રહ્યું છે. જેના કારણે એવી આગાહી કરવામાં આવી હતી કે આગામી 48 કલાકમાં ભારે પવન સાથે ભારે વરસાદ પડશે. તમિલનાડુ, પુડુચેરી અને આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ પૂરની ચેતવણી જારી કરવામાં આવી હતી. પુડુચેરીના ગૃહમંત્રી એ. નમાસિવાયમે અહીંની તમામ શાળાઓમાં આગામી બે દિવસ માટે રજાની જાહેરાત કરી છે.