વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઝેરોધાના કો-ફાઉન્ડર નિખિલ કામથ સાથે પોડકાસ્ટ કર્યું હતું. કામથે ગુરુવારે તેનું ટ્રેલર રિલીઝ કર્યું હતું. જેમાં પીએમ મોદી કહે છે કે તેઓ પણ ભૂલો કરે છે, તેઓ ભગવાન નથી, મનુષ્ય છે. પીએમ મોદીનો આ પહેલો પોડકાસ્ટ ઈન્ટરવ્યુ છે.
આ ઈન્ટરવ્યુમાં પીએમ વિશ્વમાં યુદ્ધની સ્થિતિ, રાજકારણમાં યુવાનોની ભૂમિકા, તેમના પ્રથમ અને બીજા કાર્યકાળના અનુભવો અને અંગત વિચારો પર ચર્ચા કરતા જોવા મળે છે. રાજકારણમાં યુવાનોના પ્રવેશ અંગે તેમણે કહ્યું કે યુવાનોએ મહત્વાકાંક્ષા સાથે નહીં પરંતુ મિશન સાથે રાજકારણમાં આવવું જોઈએ.
વીડિયોમાં કામથ કહે છે- ‘હું અહીં તમારી સામે બેઠો છું અને વાત કરી રહ્યો છું, હું નર્વસ છું. આ મારા માટે મુશ્કેલ વાતચીત છે. જેના પર પીએમ મોદીએ જવાબ આપ્યો, ‘આ મારો પહેલો પોડકાસ્ટ છે, મને ખબર નથી કે તમારા દર્શકોને તે કેવી રીતે ગમશે.’પીએમ મોદીએ આનું ટ્રેલર પણ પોસ્ટ કર્યું અને લખ્યું – ‘મને આશા છે કે તમે બધા આ ઇન્ટરવ્યુનો એટલો જ આનંદ લેશો, જેટલો અમને આ વાતચીતમાં આવ્યો!’
વડાપ્રધાન તરીકેના પ્રથમ અને બીજા કાર્યકાળ અંગે પીએમએ કહ્યું- ‘પહેલા કાર્યકાળમાં લોકો મને સમજવાની કોશિશ કરી રહ્યા હતા અને હું પણ દિલ્હીને સમજવાનો પ્રયાસ કરી રહ્યો હતો.’વિશ્વમાં વધી રહેલા યુદ્ધો અંગે પીએમ મોદીએ સ્પષ્ટતા કરી કે, ‘અમે સતત કહ્યું છે કે અમે (ભારત) તટસ્થ નથી, હું શાંતિના પક્ષમાં છું.’રાજનીતિમાં યુવા પ્રતિભા અંગે તેમણે કહ્યું કે સારા લોકોએ રાજકારણમાં આવવું જોઈએ. યુવાનોએ મહત્ત્વાકાંક્ષા સાથે નહીં પરંતુ મિશન સાથે રાજકારણમાં પ્રવેશ કરવો જોઈએ.
માનવતા વિશે તેમણે કહ્યું- ‘હું જ્યારે મુખ્યમંત્રી બન્યો ત્યારે મેં ભાષણ આપ્યું હતું અને જાહેરમાં કહ્યું હતું કે ભૂલો થાય છે. મારાથી પણ થાય છે. હું માણસ છું, ભગવાન નથી.ભારતીય ઉદ્યોગસાહસિક, રોકાણકાર અને સ્ટોક બ્રોકર નિખિલ કામથ ઝેરોધાના કો-ફાઉન્ડર છે. તેમના પોડકાસ્ટ શોનું નામ ‘પીપલ બાય ડબલ્યુટીએફ’ છે, જેમાં પીએમ મોદી મહેમાન બનશે. આ એપિસોડની રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી નથી.