ગુજરાતમાં વરસાદને લઇને હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે, ‘રાજ્યમાં આગામી 5 દિવસ મેઘમહેર યથાવત રહેશે. જેમાં 8 જુલાઈના રાજ્યમાં અતિભારે વરસાદ વરસશે.’
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 117 તાલુકામાં વરસાદે રમઝટ બોલાવી જેમાં સૌથી વધુ વલસાડના ઉમરગામમાં 7.5 ઈંચ વરસાદ નોંધાયો છે. જેના લીધે ઉમરગામના રસ્તાઓ પાણીમાં ગરકાવ થઇ ગયા છે. સાથે વાહનચાલકોએ પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. રાજ્યમાં સૌથી વધુ વલસાડમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. જેમાં ઉમરગામમાં 7.5 ઈંચ તો પારડીમાં 5.5 ઈંચ વરસાદ નોંધાયો છે. તો કપરાડા, ધરમપુર, વલસાડ અને વાપીમાં પણ સારો એવો વરસાદ વરસ્યો છે. આ સાથે ખાંભામાં 3.5 ઈંચ, સાવરકુંડલામાં સવા 3 ઈંચ, પલસાણામાં 2.5 ઈંચ, વિસાવદરમાં સવા 2 ઈંચ, ખેરગામમાં સવા 2 ઈંચ, ધારીમાં સવા 2 ઈંચ, સુરતમાં સવા 2 ઈંચ, વડિયામાં 2 ઈંચ, ચોર્યાસીમાં પોણા 2 ઈંચ અને ગણદેવીમાં પોણા 2 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.
ગઇકાલે સુરતમાં 6 કલાકમાં બે ઈંચ વરસાદ ખાબક્યો હતો. જેથી સુરત અને નવસારીમાં NDRFની ટીમો પણ તૈનાત કરી દેવાઈ છે. નોંધનીય છે કે, ગુજરાતમાં ચોમાસું ધીમે ધીમે આગળ વધી રહ્યું છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. એ ઉપરાંત ઉત્તર ગુજરાત અને કચ્છમાં પણ વરસાદની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં હજી વરસાદની ઘટ જોવા મળી છે.