મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે પર પેરોડી ગીત બનાવવા બદલ કોમેડિયન કૃણાલ કામરાને હવે જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કામરાને ઓછામાં ઓછા 500 ધમકીભર્યા ફોન આવ્યા છે. જેમાં લોકોએ તેને મારી નાખવાની અને તેના ટુકડા કરી નાખવાની ધમકી આપી છે. બીજી તરફ, પોલીસે મંગળવારે કામરાને સમન્સ જારી કર્યું હતું. તેને પૂછપરછ માટે મંગળવારે સવારે 11 વાગ્યે ખાર પોલીસ સ્ટેશનમાં બોલાવવામાં આવ્યો હતો. જોકે, કામરાના વકીલે પોલીસ પાસેથી 7 દિવસનો સમય માંગ્યો છે. કામરા હાલમાં મુંબઈની બહાર છે.
36 વર્ષીય સ્ટેન્ડ-અપ કોમેડિયને તેના શોમાં શિંદેની રાજકીય કારકિર્દી પર કટાક્ષ કર્યો હતો. કામરાએ ફિલ્મ ‘દિલ તો પાગલ હૈ’ના એક ગીતની પેરોડી કર્યું હતું જેમાં શિંદેને ગદ્દાર કહેવામાં આવ્યા હતા. આ દરમિયાન કૃણાલ કામરાએ 25 માર્ચે સોશિયલ મીડિયા પર બીજું એક નવું પેરોડી ગીત પોસ્ટ કર્યું. ‘હમ હોંગે કામયાબ’ લાઇન બદલીને તેઓએ એક જ દિવસમાં તેને ‘હમ હોંગે કંગાલ’ કરી દીધું.
વિવાદ વચ્ચે ડેપ્યુટી CM એકનાથ શિંદેએ મંગળવારે કહ્યું – કોઈના પર રમૂજ કરવી કે કટાક્ષ કરવો એ ખોટું નથી, પરંતુ તેની પણ એક મર્યાદા હોય છે. કૃણાલ કામરાએ જે પણ કર્યું, એવું લાગે છે કે તેણે કોઈના કહેવાથી આ કર્યું હશે. કટાક્ષ કરતી વખતે શિષ્ટાચાર જાળવવો જોઈએ, નહીં તો એક્શનનું રિએક્શન પણ આવે છે.