સુરતના કાપોદ્રા વિસ્તારમાં અનભ ડાયમંડમાં પીવાના પાણીના ફિલ્ટરમાં સેલફોસનું પાઉચ ભેળવી દઈ સામૂહિક રીતે રત્નકલાકારોની હત્યાનું ષડયંત્ર રચવામાં આવ્યું હતું. ફિલ્ટરનું પાણી પીધા બાદ 118 જેટલા રત્નકલાકારોને ચક્કરની ફરિયાદ બાદ ફિલ્ટરમાંથી સેલફોસ (અનાજમાં નાંખવાનું પાઉચ) મળી આવતાં અફરાતફરી મચી ગઈ હતી. રત્નકલાકારોને કિરણ અને ડાયમંડ હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાયા હતા. જેમાંથી 6ને આઈ.સી.યુ.માં દાખલ કરાયા હતા.
પોલીસ દ્વારા હત્યાના કાવતરાની 307ની કલમ હેઠળ ગુનો નોંધીને તપાસ હાથ ધરવામાં આવી છે. જે જગ્યા પર ફિલ્ટર હતું ત્યાં સીસીટીવી નથી. કારખાનાથી વાકેફ હોય તેવા વ્યક્તિ એટલે કે કારખાના કારીગર દ્વારા જ આ કૃત્ય કરવામાં આવ્યું હોય તેવી આશંકા છે. જેથી પોલીસ FSLની સાથે ટીમ બનાવીને અસરગસ્ત 118 સહિત કારખાનામાં બેસતા તમામ રત્નકલાકારોના નિવેદન નોંધશે.
પોલીસ હાલ આ મામલે તપાસ અર્થે અનભ ડાયમંડ હોસ્પિટલ પહોંચી છે અને રત્નકલાકારોના લિસ્ટ સહિતની તપાસ હાથ ધરી છે. તેમજ પોલીસને તપાસમાં જાણવા મળ્યું કે, કારખાનામાં પ્રવેશતા સમયે એક ગ્રિલ છે જે લોક હોય છે, ત્યારબાદ બે દરવાજાથી અંદર પ્રવેશ કરી શકાય છે. અંદર પ્રવેશ કરતા જમણી બાજુ વધુ એક ગ્રિલ છે ત્યાંથી અંદર જતા જમણી બાજુ પાણીનું ફિલ્ટર છે. ત્યાંથી વધુ એક દરવાજાથી કારખાના અંદર જઈ શકાય છે.
મેનેજરના ભાણીયા નિકુંજ નામના યુવકે સુપરવિઝન કરતાં મામા કાંતિભાઈને પીવાના પાણીના ફિલ્ટરમાંથી દુર્ગંધ આવતી હોવાની ફરિયાદ કરતાં પેઢીના મેઇન મેનેજર હરેશભાઈએ પાણીનું ફિલ્ટર ચેક કરાવ્યું હતું. કૂલરની અંદરથી જે વસ્તુ મળી હતી તે જોતાં જ બધાની જાણે આંખો ફાટી ગઈ હતી. પાણીની અંદર સેલફોસનું પાઉચ તરી રહ્યું હતું. ઉપરનું પ્લાસ્ટિક ફાટેલું હતું અને અંદર કાગળમાં પેક પાણીમાં ભળી ગયાની શંકા સાથે જ અફરાતફરી મચી ગઈ હતી. કોઈએ આ રત્નકલાકારોની સામૂહિક હત્યા કરવાના ઈરાદે અનાજમાં જીવાત પડતી રોકવા વપરાતી આ ગોળીનું પાઉચ પાણીમાં ભેળવી દીધું હોવાની વાતે આખા કારખાનામાં ગભરાટ ફેલાઈ ગયો હતો.