અમેરિકા-ઈરાન વચ્ચેનું યુદ્ધ અત્યારે અત્યંત નાજુક અને જોખમી સ્થિતિમાં પહોંચી ગયું છે. ઈરાનના
વિદેશમંત્રી અબ્બાસ અરાઘચીની રશિયાની મુલાકાતથી અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ લાલઘૂમ થઈ
ગયા છે. ટ્રમ્પે એક ઈન્ટરવ્યૂમાં સીધી ધમકી આપતા જણાવ્યું છે કે જો આગામી ત્રણ દિવસમાં ઈરાન
સમજૂતી નહીં કરે, તો તેની ઓઇલની પાઈપલાઈનોમાં ભયંકર વિસ્ફોટ કરવામાં આવશે. ટ્રમ્પે ચેતવણી
આપી છે કે દરિયાઈ નાકાબંધીને કારણે ઈરાન પહેલાથી જ જહાજો દ્વારા નિકાસ કરી શકતું નથી અને હવે
પાઈપલાઈન ધ્વસ્ત થયા બાદ તે ઓઇલ નિકાસ કરવાને લાયક જ નહીં બચે.
આ વિવાદનું મુખ્ય કારણ ઈરાનના વિદેશમંત્રીની રશિયા અને પાકિસ્તાન વચ્ચેની દોડધામ માનવામાં
આવે છે. અરાઘચી પહેલા પાકિસ્તાન અને ઓમાન ગયા હતા અને હવે પુતિન સાથે મંત્રણા કરવા મોસ્કો
પહોંચ્યા છે. ટ્રમ્પ આ વાતથી નારાજ છે કે ઈરાન હવે રશિયામાં આગળની વાતચીત કરવા ઈચ્છે છે.
ટ્રમ્પે સ્પષ્ટ કરી દીધું છે કે હવે તેમનું પ્રતિનિધિ મંડળ મંત્રણા માટે પાકિસ્તાન કે અન્ય ક્યાંય જશે નહીં.
જે પણ વાત કરવી હોય તે ફોન પર જ થશે. ટ્રમ્પે દાવો કર્યો હતો કે ઈરાને મોકલેલો પહેલો પ્રસ્તાવ
તેમણે ફગાવી દીધો હતો, જે બાદ ઈરાને બીજો સુધારેલો પ્રસ્તાવ મોકલ્યો છે.
ઉલ્લેખનીય છે કે 11 અને 12 એપ્રિલના રોજ યોજાયેલી શાંતિ વાટાઘાટોનો પહેલો રાઉન્ડ નિષ્ફળ રહ્યો
હતો. પરિણામે ટ્રમ્પે જાહેરાત કરી છે કે તેમના વાટાઘાટ કરનારા સ્ટીવ વિટકોફ અને જેરેડ કુશનર હવે
ઈસ્લામાબાદ જશે નહીં. બીજી તરફ, ઈરાનનું કહેવું છે કે અરાઘચી રશિયામાં યુદ્ધને સંપૂર્ણપણે સમાપ્ત
કરવા માટે ઈરાનનો પક્ષ રજૂ કરશે. જોકે, ટ્રમ્પનું આ આક્રમક વલણ જોતા આગામી 72 કલાક બંને દેશો
અને સમગ્ર વિશ્વના ઓઇલ બજાર માટે ખૂબ જ મહત્ત્વના સાબિત થઈ શકે છે.




