વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના વિદેશ પ્રવાસ પરથી પરત ફરતાની સાથે જ દિલ્હીમાં એક અત્યંત મહત્ત્વપૂર્ણ હાઈ-લેવલ બેઠકની અધ્યક્ષતા કરવાના છે. તમામ કેબિનેટ અને રાજ્યકક્ષાના મંત્રીઓને દિલ્હીમાં જ હાજર રહેવાના આદેશથી દેશના રાજકીય ક્ષેત્રે ભારે સસ્પેન્સ સર્જાયું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના વિદેશ પ્રવાસ પરથી ભારત પરત ફરતાની સાથે જ એક અત્યંત મહત્વપૂર્ણ અને હાઈ-લેવલ બેઠકની અધ્યક્ષતા કરશે. આ બેઠકમાં કેબિનેટ કક્ષાના તમામ વરિષ્ઠ મંત્રીઓથી લઈને તમામ રાજ્યકક્ષાના મંત્રીઓ પણ ફરજિયાતપણે સામેલ થવાના છે. અચાનક તમામ મંત્રીઓને આગામી દિવસોમાં દિલ્હીની બહાર ન જવા અને રાજધાનીમાં જ રહેવાનો આદેશ મળતાં આ મીટિંગને લઈને સસ્પેન્સ અને ઉત્સુકતા ચરમસીમાએ પહોંચી છે.
વૈશ્વિક અને આંતરિક પરિસ્થિતિઓને જોતા આ બેઠકમાં દેશની સુરક્ષા અને આર્થિક સ્થિતિ સાથે જોડાયેલા મહત્વપૂર્ણ પાસાઓ પર મંત્રીઓ સમક્ષ વિસ્તૃત વિગતો રાખવામાં આવશે.આ બેઠકનો સૌથી મોટો એજન્ડા અમેરિકા-ઈરાન વચ્ચે ચાલી રહેલો તણાવ અને હોર્મુઝની ખાડીનું સંકટ છે. સરકાર સતત એ વાત પર નજર રાખી રહી છે કે, આ યુદ્ધ જેવી સ્થિતિની ભારતમાં કાચા તેલની કિંમતો, વૈશ્વિક સપ્લાય ચેઈન અને સ્થાનિક મોંઘવારી પર શું અસર પડશે. પીએમ મોદીના વિદેશ પ્રવાસ દરમિયાન રક્ષામંત્રી રાજનાથ સિંહની આગેવાનીમાં એક હાઈ-પાવર ગ્રુપ બનાવવામાં આવ્યું છે, જેમાં ગૃહમંત્રી અમિત શાહ, નાણામંત્રી નિર્મલા સીતારમણ અને હરદીપ સિંહ પુરી સામેલ છે, જેઓ 24 કલાક સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. જો કે, રક્ષામંત્રીએ દેશને ભરોસો આપ્યો છે કે ભારતમાં ક્રૂડ અને એલપીજીનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ હોવાથી ગભરાવાની જરૂર નથી.
રાજકીય મોરચે સૌથી મોટી ચર્ચા એ વાતની છે કે, આગામી 10 જૂને મોદી સરકાર 3.0 ના શાસનનું એક વર્ષ પૂર્ણ થઈ રહ્યું છે. આ પૂર્વે જૂનના બીજા સપ્તાહમાં કેબિનેટમાં બહુ મોટો ફેરબદલ અથવા વિસ્તરણ જોવા મળી શકે છે. અનેક મંત્રીઓના વિભાગો બદલાય તેવી પ્રબળ શક્યતા છે. આથી, ગુરુવારે યોજાનારી આ હાઈ-લેવલ બેઠકને આગામી કેબિનેટ વિસ્તરણની પૂર્વતૈયારી અને મંત્રીઓના રિપોર્ટ કાર્ડની સમીક્ષા સાથે જોડીને જોવામાં આવી રહી છે.






