ભાવનગર,તા.5
સંયુક્ત રાષ્ટ્ર દ્વારા 5 જૂનનો દિવસ વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે આંતરરાષ્ટ્રીય સ્તરે ઉજવવામાં આવે છે. આ દિવસ વિશ્વભરમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવા તથા પ્રકૃતિ અને આપણી પર્યાવરણીય પ્રણાલીઓના રક્ષણ માટે નક્કર પગલાં લેવા તથા પર્યાવરણીય નુકસાનને ઓછું કરવા માટે લોકો ને પ્રોત્સાહિત કરવા મનાવવામાં આવે છે એજ રીતે ભાવનગરમાં કલા ની અવનવી પ્રવૃત્તિઓ સાથે સતત કાર્યરત રહેતી સંસ્થા એવી “ભાવનગર કલા સંઘ” દ્વારા પણ લોકોને કલા દ્વારા પર્યાવરણ માટે પ્રોત્સાહિત કરવા સુંદર મજાના એક ચિત્ર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે આ પ્રદર્શનમાં દરેક કલાકારો દ્વારા “વૃક્ષ” (ઝાડ) ના વિષયો પર 80 થી વધુ ચિત્રો બનાવ્યા છે. આ પ્રદર્શનમાં ત્રણ અલગ અલગ ગ્રુપ માં 8 વર્ષ થી લઇ ને 74 વર્ષ સુધીના કુલ 80 થી વધુ કલાકારો એ ભાગ લીધો છે જેમાં ત્રણેય ગ્રુપના શ્રેષ્ઠ ચિત્રોને ઇનામ આપી સન્માનિત કરવામાં આવશે તથા દરેક સ્પર્ધકને પ્રમાણપત્ર આપી ને પ્રોત્સાહિત કરવામાં આવશે
આ પ્રદર્શનનું ઉદ્ઘાટન શુક્રવારે 5 જૂનના વિશ્વ પર્યાવરણ દિવસે સાંજે 5 કલાકે ભાવનગરના નાયબ વન સંરક્ષક યોગેશભાઈ દેસાઈ, કલાના પ્રોત્સાહક તથા ફૂડ પ્રમોટર હિમાચાલભાઈ મહેતા, રાજહંસ નેચર ક્લબના જલ્પેશભાઈ ચૌહાણ, તથા ભાવનગરના વરિષ્ઠ વોટર કલર કલાકાર બીપીનભાઈ દવેના હસ્તે ખોડીદાસ પરમાર આર્ટ ગેલેરી, સરદારનગર ખાતે કરવામાં આવશે. આ પ્રદર્શન 6–7 જુનના શનીવાર – રવિવાર ના રોજ પણ સવારે 10 થી 1 અને સાંજે 4 થી 8 દરમ્યાન ખુલ્લું રહેશે.



