ભાવનગર,તા.6
કલા જ્યારે આધ્યાત્મિકતા અને નવીન પ્રયોગો સાથે ભળે છે ત્યારે તે દિવ્ય સ્વરૂપ ધારણ કરે છે. ભાવનગરના વિખ્યાત કલાકાર યોગેશભાઈ મકવાણાની પુત્રી જેઓ ‘શ્રી રોનક’ તરીકે પોતાની અનોખી કલાશૈલી માટે જાણીતી છે. તેમણે રિતેશ ચૌહાણના સાથ-સહયોગ અને વર્ષોના સંશોધન બાદ ૨૪ કેરેટ ગોલ્ડ આધારિત ‘ઓરમટીંગ ટેક્નિક’ નામની એક અદભૂત કલાની શોધ કરી છે. આ ટેકનિકમાં રિતેશ ચૌહાણના મનમાં ઉદભવતા વિચારોને શ્રી રોનક સોનાના માધ્યમથી કેનવાસ પર જીવંત કરે છે.
તેમણે જણાવ્યું હતું કે, તાજેતરમાં તેમની આ અનોખી કલાથી પ્રભાવિત થઈને ભાવનગરના મહારાણીએ યુવરાજ જયવીરરાજસિંહજીનું ગોલ્ડ પોર્ટ્રેટ બનાવવાનું કામ સોંપ્યું હતું. જેને પગલે શ્રી રોનકે ૨૪ કેરેટ શુદ્ધ સોનાનો ઉપયોગ કરીને યુવરાજનું એક ભવ્ય અને તેજોમય ચિત્ર તૈયાર કર્યું હતું. તાજેતરમાં નીલમબાગ પેલેસ ખાતે રાજપરિવારની વિશેષ ઉપસ્થિતિમાં આ કળાકૃતિ યુવરાજને ભેટ ધરવામાં આવી હતી.
આ પોર્ટ્રેટમાં માત્ર ચહેરાની સમાનતા જ નહીં, પરંતુ રાજવી ગૌરવ અને વ્યક્તિત્વના તેજને સોનાની દિવ્ય ચમક સાથે આબેહૂબ રજૂ કરાયું છે. શ્રી રોનકે વિકસાવેલી આ ‘ઓરમટીંગ ટેક્નિક’ માત્ર ચિત્રકળા નથી, પણ ભારતીય કલા જગતમાં એક નવીન ક્રાંતિ છે. ૨૪ કેરેટ ગોલ્ડથી બનેલા આ પેઇન્ટિંગ્સ આજે માત્ર કળાકૃતિ નથી રહ્યા, પરંતુ આધ્યાત્મિક ઊર્જાનું પ્રતીક બનીને દેશ-વિદેશના કલાપ્રેમીઓને મંત્રમુગ્ધ કરી રહ્યા છે તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.



