ભાવનગરથી દોઢ વર્ષની માસૂમ દીકરીને લઈને સુરત આવેલી ૨૨ વર્ષીય પરિણીતાએ વરાછા વિસ્તારમાં આવેલા ઉમિયાધામ મંદિરના અતિથિ ભવનમાં ઝેરી દવા પી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. ચોંકાવનારી અને કાળજું કંપાવી દે તેવી બાબત એ છે કે, મહિલાએ જ્યારે આ આત્મઘાતી પગલું ભર્યું ત્યારે તેની દોઢ વર્ષની માસૂમ પુત્રી પણ રૂમમાં હાજર હતી અને તેની નજર સામે જ માતાએ દમ તોડી દીધો હતો.
રીના બારૈયા નામના આ મહિલા મંગળવારે ભાવનગરથી સુરત આવી વરાછા અશ્વિનીકુમાર રોડ પર આવેલા અતિથિ ભવનમાં રૂમ ભાડે રાખી રોકાઈ હતી. મંગળવારે સવારે તેણે અચાનક રૂમમાં ઝેરી દવા પી લીધી હતી. દવા પીધા બાદ રીનાએ તેના પરિવારના સભ્યોને ફોન કરીને જણાવ્યું હતું કે, “મેં ઝેરી દવા પી લીધી છે.” આ વાત ત્યાં હાજર અતિથિ ભવનના સ્ટાફના કાને પડતાં જ હોબાળો મચી ગયો હતો. સ્ટાફ અને અન્ય સેવાભાવી લોકો તાત્કાલિક રૂમ તરફ દોડ્યા હતા અને ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરી રીનાને ગંભીર હાલતમાં સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડી હતી. જોકે, ટૂંકી સારવાર બાદ તેણે દમ તોડી દીધો હતો.
ઘટનાની જાણ થતાં જ અશ્વિનીકુમાર પોલીસનો કાફલો હોસ્પિટલ અને ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસને તપાસ દરમિયાન રીનાના મોબાઈલમાંથી તેની એક બહેનપણીનો નંબર મળી આવ્યો હતો, જેના પર સંપર્ક કરતાં સમગ્ર મામલાની સત્ય હકીકત અને પરિવારની વિગતો સામે આવી હતી. હાલ મૃતદેહને સ્મીમેર હોસ્પિટલના પીએમ રૂમમાં રાખવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, બુધવારે મૃતક રીનાના પતિ અક્ષયના પરિવારના સભ્યો ભાવનગરથી સુરત આવી પહોંચશે, ત્યારબાદ પોલીસ રીનાનો મૃતદેહ અને તેની દોઢ વર્ષની માસૂમ બાળકીનો કબજો પરિવારને સોંપશે.
પતિના અકાળ અવસાનથી આઘાતમાં હતી રીના
મૂળ વાવ થરાદની વતની અને હાલ ભાવનગરના નારી રોડ પર કુંભારવાડા પાસે આવેલી ગીરનાર સોસાયટીમાં રહેતી રીના અક્ષય બારૈયા (ઉં.વ. ૨૨) એ ત્રણ વર્ષ પહેલાં જ અક્ષય નામના યુવક સાથે પ્રેમલગ્ન કર્યા હતા. લગ્નજીવન દરમિયાન તેમને એક દીકરીનો જન્મ થયો હતો અને તેઓ ખુશ હતા. જોકે, માત્ર ૩ થી ૪ મહિના પહેલાં જ રીનાના પતિ અક્ષયનું ગંભીર બીમારીના કારણે અવસાન થયું હતું. પતિના અકાળ અવસાન બાદ રીના ભારે આઘાતમાં સરી પડી હતી અને સતત એકલતા અનુભવતી હોવાથી આ પગલું ભર્યું હોવાની પ્રબળ આશંકા છે.



