બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના નાગનેશ ગામે 28 વર્ષીય યુવતી તુલસીબેન ગોપાલભાઈ ભોજવીયાએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો છે. આ ઘટનાને પગલે યુવતીના પિયર પક્ષે દીકરીની હત્યા થઈ હોવાની શંકા વ્યક્ત કરી છે. રાણપુર પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.
બનાવ અંગે મળતી માહિતી મુજબ, તુલસીબેન ભોજવીયા ગત મોડી રાત્રીએ ગળેફાંસો ખાધો હતો. ઘટનાની જાણ થતાં 108 એમ્બ્યુલન્સ દ્વારા મૃતક યુવતીને રાણપુર સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.તુલસીબેન નાગનેશ ગામે શિવરાજભાઈ કાવિઠીયા સાથે મૈત્રી કરાર કરી રહેતા હતા. ચાર વર્ષ પહેલા ધંધુકા પાસેના ઉતળીયા ગામે તેમના લગ્ન થયા હતા અને તેમને અઢી વર્ષની એક દીકરી પણ છે.યુવતીના માતા-પિતાને આ બનાવની જાણ થતાં તેઓ રાણપુર સરકારી હોસ્પિટલ પહોંચ્યા હતા અને પોતાની દીકરીની હત્યા કરવામાં આવી હોવાની શંકા વ્યક્ત કરી હતી. હાલ રાણપુર પોલીસ યુવતીએ આપઘાત કર્યો છે કે તેની હત્યા થઈ છે, તે દિશામાં ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.



